When and where did Gujarati language really develop? books and stories free download online pdf in Gujarati

ગુજરાતી ભાષાનું સંવર્ધન ખરેખર ક્યારે અને ક્યાંથી ?

૨૪ ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિન. ગરબે ઘૂમતા, હૃદય તથા જીભ પર અમૃત તથા નસેનસમાં વેપારી લોહીની ઓળખ ધરાવતા ખમીરવંતા ગુજરાતીઓની માતૃભાષા એટલે ગુજરાતી ભાષા. માતૃભાષા શબ્દ માનસપટ પર આવે ત્યારે ગુજરાતી તરીકે ગરવી ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શબ્દો યાદ આવે કે ‘કોઇપણ પ્રજાના વર્ગમાં પ્રજાત્વ કાયમ રાખવું હોય તો તેમને ઉતરતી કે ચડતી બધી જ કેળવણી તેમની માતૃભાષામાં મળવી જોઇએ.’ કેળવણી શબ્દ મનુષ્ય જીવનના દરેક તબક્કા સાથે સંકળાયેલો છે. આજે જ્યારે માતૃભાષાનાં પતન કે અધોગતિની વાતો થાય છે ત્યારે દોષિત સંપૂર્ણપણે શૈક્ષણિક સંસ્થાઓને જ ઠરાવવામાં આવે છે, પરંતુ ખરેખર એ સત્ય છે? આપણા પૂર્વજોનો એટલો અભ્યાસ ન હતો, છતાં પણ માતૃભાષા પરનાં પ્રભુત્વનાં અનેક દૃષ્ટાંતો આપણને મળી શકે છે. સામાન્ય રીતે માતૃભાષા અર્થાત્ જે મા બોલે તે ભાષા, આપણી માતૃભાષા. જેમ બાળક માની દરેક ભાષાને સમજીને વિકાસ સાધે છે, તેમ માતૃભાષા વ્યક્તિના વિકાસમાં અગ્રેસર રહે છે, પરંતુ આજે આધુનિક યુગમાં પોતાને પણ આધુનિક પુરવાર કરવામાં માતાઓએ જે ‘ગુજલીશ’ ભાષાનું નિર્માણ કર્યું છે, તેમાં ન તો પરિવાર કે ન તો બાળક સંપૂર્ણપણે ગુજરાતી ભાષાનું રહ્યું છે કે ન તો અંગ્રેજી ભાષાનું.
આજે બાર મહિનાનાં બાળકને વોટરની આદત પાડવામાં તે ખરેખર પાણીનો સ્વાદ ભૂલી ગયું છે. બાળકની ભાષા સજ્જતા પહેલાંના સમયમાં ગર્ભધારણ શરૂ કરી, સમય પૂરો થતાં દાદા-દાદીની વાર્તાઓથી લઇ બાળ સામયિકોમાં જેમ બકોર પટેલ, ચાંદામામા, ચંપકની વાર્તાઓથી થતી, પરંતુ આજે આ બધાં સામયિકો, દાદા-દાદી હોવા છતાં કોમ્પિટિશન યુગમાં દોડતું બાળક,રાત સુધીમાં અલગ-અલગ ક્લાસિસમાંથી આવેલું બાળક બોલવા યોગ્ય પણ રહેતું નથી, તેથી જો માતૃભાષાના બચાવની પહેલ કરવી હશે તો શરૂઆત તો પોતાનાથી જ કરવી પડશે. પહેલાં માતૃભાષાના વોરિયર માતા-પિતા અને વડીલોને જ બનવું પડશે. બાળક કોઇપણ માધ્યમમાં અભ્યાસ કરે, પરંતુ તેની માતૃભાષા સુદૃઢ કરવાનું કાર્ય તો પરિવારની પહેલી અને અગ્રિમ ફરજ છે.
શિક્ષણનાં માધ્યમ તરીકે બાળક માટે અંગ્રેજી ભાષા પસંદ કરતા વાલીગણને મારે એક પ્રશ્ન પૂછ્યો છે કે ‘શું તેઓ કહી શકશે કે મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, એ.પી.જે. અબ્દુલલામ, સી.વી. રામન, રવીન્દ્રનાથ ટાગોરને આપ સફળ વ્યક્તિઓ માનો છો ?’ જો ઉત્તર હા હોય તો શું કહી શક્યો કે તે સૌનાં શિક્ષણનું માધ્યમ શું હતું ? ચોક્કસપણે ઉત્તર હશે ‘તેમની માતૃભાષા’, ઉપરોક્ત પૈકી મોટાભાગના વ્યક્તિઓએ નાનાં ગામની સરકારી શાળાઓમાં શિક્ષણ લઇ વિશ્વસ્તરે પોતાની નામના પ્રસ્થાપિત કરી છે. જ્યારે આધુનિક્તા સાથે કદમ મિલાવવા માટે બાળકને નર્સરી સ્કૂલમાં દાખલ કર્યા પછી સમાજમાં અનેક કિસ્સાઓ આપણી પાસે ઉપલબ્ધ છે, જેમાં પ્રાથમિક અને માધ્યમિક ધોરણે બાળકને ફરજિયાતપણે પોતાનું માધ્યમ બદલાવવાની જરૂર પડી છે. આવી સ્થિતિમાં બાળક ન તો ગુજરાતી ભાષાનું રહે છે કે ન તો અંગ્રેજી ભાષાનું.
આપણે સાથે મળીને સંકલ્પ કરવાનો છે કે આપણે સૌ અને આપણા પરિવાર દ્વારા માતૃભાષાના સુકાતા છોડને પોતાના પ્રયત્નો વડે સીંચી, મોટું વૃક્ષ બનાવીએ. નહીં તો એ દિવસો દૂર નથી કે આપણે આપણું જ અસ્તિત્ત્વ ગુમાવી બેસીશું અને આપણે ભવિષ્યને અંધકારમય બનાવી દઇશું. આપેલી પંક્તિ કદાચ આપણને આ જ વસ્તુ સુંદર રીતે કહી જાય છે ‘દેશ ગયા, વિદેશ ગયા, શીખી લાવ્યા નવી વાણી, વોટર- વોટર કહેતાં જીવ ગયો ને ખાટલા નીચે પાણી.'
ગુજરાતી ભાષાદિન માત્ર એક દિન બનીને ન રહે, પરંતુ સમગ્ર જીવન આ ભાષાનું ગૌરવ લેવાય તો જ આપણે પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખી શકીશું.
વિશ્વ ગુજરાતી ભાષા દિનની આપ સોને ખુબ ખુબ શુભેચ્છાઓ..

આભાર..