Is your child apathetic towards learning? books and stories free download online pdf in Gujarati

શું તમારું બાળક ભણતર પ્રત્યે નિરસતા દાખવે છે ?

શું તમારું બાળક ભણતર પ્રત્યે નિરસતા દાખવે છે ?


નમસ્કાર વાચક મિત્રો. આજે એક એવી સમસ્યા વિશે વાત કરવી છે કે જેની ચિંતા માતા-પિતાને સતત સતાવતી જ રહેતી હોય છે. અને તે છે તેમના બાળકોનો અભ્યાસ. સંતાનો સારી રીતે ભણે તે માટે માતા-પિતા તેને સારામાં સારી સ્કૂલમાં એડમિશન અપાવતા હોય છે. મોંઘા ટ્યુશન ક્લાસિસમાં પણ બાળકોને મૂકતા હોય છે. પણ, ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકોનું ભણવામાં મન જ નથી લાગતું હોતું. ગમે તેટલું કરો, પણ, બાળકો ભણે જ નહીં. અને જો ભણે તો પણ તેમને કંઈ યાદ જ ન રહે. ક્યાંક તમારા સંતાનો સાથે પણ આવી જ સમસ્યા તો નથી ને ? જો હા, તો આજે ધ્યાનથી વાંચો. આ લેખ તમને જરૂર મદદરૂપ બનશે.

બાળકનાં મિત્ર બની રહો :

જ્યારે બાળકનું મન અભ્યાસમાં નથી લાગતું ! તેનાં અનેક કારણો છે. બાળકનાં મિત્ર બની આ કારણ શોધવું ખૂબ જરુરી બને છે. જો તમે બાળકનાં મિત્ર બનશો તો બાળક તમારી સામે ખુલ્લું થઈ જશે. ખુલ્લાં દિલે બઘી જ વાતો કરશે. બાળક પાસેથી જાણી લો કે તેને ક્યાં કઈ તકલીફ છે. બાળક શું કરવા માંગે છે. શા માટે બાળકને ભણવું ગમતું નથી. શા માટે તેને ભણેલુ યાદ નથી રહેતું.


બાળકનાં મિત્રો કોણ છે ?

બાળપણમાં મિત્રોની અસર ખૂબ ઝડપી થાય છે. આપણે બઘી જ ઉત્તમ પ્રકારની કાળજી રાખતાં હોઈએ પરંતું શાળામાં, ટ્યુશનમાં કે શેરી - સોસાયટીમાં તેનાં મિત્રો કેવાં છે ? કેટલાં રમતિયાળ છે ? આ બાબતનું ખાસ ઘ્યાન રાખવું. સંગ એવો રંગ. આ સૂત્ર ઘણી બધી જગ્યાએ સાબિત થયેલું છે. માટે જ જો આપણાં બાળકનાં મિત્રો ભણવા પ્રત્યે રુચિ ધરાવતાં ન હોય અને ધીંગા મસ્તી, રમતમાં કે અન્ય પ્રવૃત્તિઓમાં પોતાનો સમય બરબાદ કરતાં હોય તો આપણાં બાળક પર આની ચોક્કસ અસર થશે.

હોમવર્ક સમયે બાળકની સાથે રહો :

જ્યારે બાળક હોમવર્ક કરવા બેસે ત્યારે અવશ્ય તેની સાથે બેસો. તે કેવું લખે છે, ક્યાં ઉતાવળ કરે છે, તે શા માટે બધાં ઉત્તરો નથી લખતું? , તે અધૂરા જવાબો લખે છે અને તેને ક્યાં મુશ્કેલી પડે છે આ બધી જ બાબતો તમને ત્યારે જ જણાશે જ્યારે તમે તમારાં બાળક સાથે બેસો છો. નાનું બાળક એકલું એકલું ઘરકામ કરવા બેસે કે ભણવા બેસે ત્યારે તેને ગમતું નથી હોતું. નાનું બાળક સતત કોઈને કોઈનો સહવાસ ઝંખતું હોય છે. માટે ખાસ બાળક નાનું હોય ત્યારે તેની સાથે ભણવા બેસો. થોડું મોટું થશે ત્યારે તેને જાતે જ આ ટેવ પડી ગઈ હોઈ તે સમયે તે એકલો જ મનથી અભ્યાસ કરશે.


નિયમિત યોગા:

નાનપણથી જ બાળકોમા યોગાની ટેવ પાડીએ. બાળકોની સાથે આપણે પણ યોગા કરીએ. કારણકે શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે. બાળક સ્ફૂર્તિલું રહેશે. તરવરાટ વાળું રહેશે. નિયમિત યોગા અને કસરતથી તેની પાચન શક્તિ સારી રહેશે. ભૂખ લાગશે. યોગ્ય ખોરાક લેશે અને અભ્યાસમાં ચિત ચોટશે. બાળકોને રોજ યોગા કરાવો છો તો મેમરી પાવર શાર્પ થાય છે અને સાથે હેલ્થ પણ સારી રહે છે. યોગામાં આવતાં પ્રાણાયામ બાળકોને કુશાગ્ર બુદ્ધિ માટે જરુરી છે. એમાંય ભ્રામરી પ્રાણાયામ બાળકોની યાદશક્તિ વધારવા માટે ખાસ કરાવવો જોઈએ.

આહાર આયોજન :

બાળકોને શુદ્ધ અને સાત્વિક આહાર આપવો. પૌષ્ટિક આહારની બાળકની તન અને મનની તંદુરસ્તી જળવાશે. ફ્રૂટ, ડ્રાય ફ્રુટ અને સલાડ - લીલાં શાકભાજી ખાવાની ટેવ પાડો અને આ જ ખોરાક નિયમિત આપો. બાળકોને અખરોટ અને બદામ નિયમિત ખવડાવો. બાળકને અખરોટ અવશ્ય ખવડાવો. તેનાથી બાળકની યાદશક્તિ વધે છે. તમે આખા દિવસમાં ગમે ત્યારે બાળકને અખરોટ ખવડાવી શકો છો. પરંતુ, તે સવારે ખવડાવવી વિશેષ લાભદાયી બની રહે છે.


અભ્યાસને અનુકૂળ વાતાવરણ :

ઘરમાં અભ્યાસને અનુકૂળ વાતાવરણ બનાવવું ખૂબ જરુરી છે. જો ઘરમાં બધાં મોબાઈલ અને ટી. વી. જોવામાંમાં વ્યસ્ત હોય તો બાળક કયાંથી અભ્યાસ કરે ? તમે ટી. વી. જોતાં હોય અને બાળકને કહો, " જા અંદર જઈને ભણવા બેસ." શું આ શક્ય છે ? તમારુ બાળક અભ્યાસ કરે છે તો તે સમય ટી. વી. , મોબાઈલ બંધ રાખો. ઘરમાં શાંતિ વાળું વાતાવરણ રાખો. નિરર્થક વાતો અને ઝગડાઓથી દૂર રહો. અભ્યાસના રૂમમાં યોગ્ય પ્રકાશની સુવિધા, સ્વચ્છતા અને સુગંધિત ( ધૂપ ) વાતાવરણ રાખો.

ભણવા માટે પ્રોત્સાહિત કરો :

નાના મોટાં સૌને માટે પ્રોત્સાહન એક ઔષધ જેવું કામ કરે છે. બાળકોને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. જો તમે બાળકોમાં માત્ર કમી શોધી રહ્યા છો, તો બાળકોનું મન હંમેશા ઉદાસ રહેશે અને તેમનું ભણનામાં મન નહીં પરોવાય. આ કારણોસર બાળકોની સફળતા તથા કોશિશ પ્રત્યે ઉત્સાહ દાખવો અને સરાહના આપો. આ પ્રકારે કરવાથી તેઓ પ્રોત્સાહિત થશે.


પૂરતી ઊંઘ :

એક અભ્યાસ મુજબ બાળક જેટલું વધારે ઊંઘશે તેટલું તેનું માઇન્ડ વધારે એક્ટિવ રહેશે. વધારે અર્થાત પૂરતી ઊંઘ. ઓછી ઊંઘથી બાળક માં ચીડિયાપણું આવે છે. અનેક વાર બાળકો આખા દિવસમાં એટલા થાકી જાય છે કે, તેમને ભણતા સમયે ઊંઘ આવવા લાગે છે અને વાંચે છે, તો તેમને કંઈ સમજ નથી પડતી. આ કારણે તેમને ભણવું ગમતું નથી. આ કારણોસર બાળકો ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લે તે ખૂબ જ જરૂરી છે. આ પ્રકારે કરવાથી તેમનું માઈન્ડ એક્ટિવ રહેશે અને ભણવામાં મન પરોવાશે.


બાળકને જાતે પોતાનુ ધ્યેય નક્કી કરવા દો :

બાળકને શેમાં રસ છે તે જાણો. અત્યારે તો માતા પિતાના અધૂરા સપનાં બાળકો પાસે પૂરાં કરાવવાની ખેવના રાખતાં હોય છે. આજના જગતમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય અંગ છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે? હકારાત્મક પ્રોત્સાહન એ તેની ચાવી છે. તેઓને સપનું સેવવા દો. એવું સપનું કે જેના માટે તે ઇચ્છા રાખતો હોય. તેઓના વ્યક્તિત્વનો અભ્યાસ કરો અને સમજણ આપો – કોઇ ભણવામાં હોશિયાર હોય છે, તો કોઇ રમત ગમતમાં, કોઇ સર્જનાત્મક હોય છે, તો કોઇ સામાજિક પ્રવૃત્તિમાં. તેઓના રસને ઓળખ્યા પછી, તેને અનુરૂપ ધ્યેય નક્કી કરો. એક વખત હેતુ યોગ્ય રીતે નક્કી થઈ જાય, પછી તેને અનુસરો. પછી શિક્ષણનું મહત્વ સમજાવો, તેમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપો.


આ ઉપરાંત , બાળકો પર ભણવા માટે પ્રેશર ના નાખવું જોઈએ, તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. બળકો પર પ્રેશર નાખવાથી તેમના પર નેગેટીવ અસર થશે અને ભણવા પ્રત્યે રસ નહીં રહે. જે માટે શિક્ષક સાથે વાત કરો અને ભણવામાં રસ દાખવે તે માટે નવી રીત અપનાવો. બાળકોને ઉદાહરણ આપીને સમજાવો, હસતા રમતા સમયે બાળકો સરળતાથી તમામ વસ્તુ શીખી શકે છે.