Chanakyaniti Amrut saar - 1 books and stories free download online pdf in Gujarati

ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 1

ચાણક્ય નીતિ એક અદભુત ગ્રંથ છે. આ ગ્રંથના અભ્યાસથી બુદ્ધિ, વિચારો અને સકારાત્મકતાનો વિકાસ થાય છે. આજની પરિસ્થિતિ, સમય અને વિચારોને અનુરૂપ આ ગ્રંથનો અભ્યાસ કરીને મેં મારી સમજ પ્રમાણે અને મારા વિચારો પ્રમાણે આ ગ્રંથનો સાર પ્રસ્તુત કર્યો છે. આચાર્ય ચાણક્યનું માનવું છે કે વિનમ્રતા સાથે અને લોકોની સહાય અર્થે કરવામાં આવેલું અધ્યયન, મનન ,ચિંતન વ્યક્તિને, સમાજ દેશ વિશ્વ અને કુદરતને સદેવ સમૃદ્ધ બનાવે છે. આવા વ્યક્તિની કીર્તિ દેશ વિદેશમાં પ્રસરે છે. આવું ચિંતન જો બુદ્ધિ અને વિવેકને સમર્થન આપતું હોય, તેમજ વિચાર વાણી વર્તન અને વ્યવહાર માટે ઉપયોગી હોય તો તે પોતાના તેમજ અન્યના જીવનને સંતોષપૂર્ણ બનાવે છે અને આવા ચિંતનના કારણે સર્વ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
પહેલા ભાગમાં અધ્યાય ૧ થી ૫ નો સાર છે ,પછીના ભાગમાં આગળના અધ્યાયો આપની રુચિ પ્રમાણે મૂકવાની યોજના છે ..જો આ પ્રયાસ તમને સારો લાગે તો મને જરૂરથી આપના અભિપ્રાયો મોકલશો.
પહેલા ભાગમાં ધન સંબંધિત ચાણક્યના વિચારો પ્રસ્તુત કર્યા છે.

ધન (money)
વ્યવહારમાં ધનની લેવડદેવડ વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી:

*ચાલાક ,સ્વાર્થી, લુચ્ચા, અને માત્ર ધનની ઈચ્છાથી કાર્ય કરવાવાળા, અથવા વ્યવહાર કરવાવાળા વ્યક્તિઓ પ્રત્યે ભાવુક થઈને નિર્ણય લેવાથી હંમેશા નુકસાન ભોગવવું પડે છે માટે આવા વ્યક્તિઓથી સાવધાન રહેવું અને આવા વ્યક્તિઓ સાથે બુદ્ધિપૂર્વક અને ચતુરાઈથી કામ કઢાવવું.

*જે ઘણા દુઃખમાં આવી પડેલા છે અને કોઈક રીતે અસમર્થ થઈ ગયા છે એવા વ્યક્તિઓ સાથે વળતર કે લાભની અપેક્ષાથી વ્યવહાર કરવાની જગ્યાએ એવા વ્યક્તિઓને મદદ કરીને અને વિપત્તિના સમયે તેમના સંકટમાં સહાય કરીને તેમને જીતી લેવા. જો આવા વ્યક્તિઓ સાથે આનાથી વધુ પડતો વ્યવહારિક સંબંધ રાખશો તો પોતે ચિંતામાં આવી પડશો.

*ધનનું રક્ષણ સંકટ સમય માટે કરવું જોઈએ , પરંતુ જો ઘરમાં વગર ઉપયોગે ધનનો સંગ્રહ કરવામાં આવે તો ચિંતા વધે છે. માટે બચાવેલું સુરક્ષિત સ્થાન પર નિવેશ કરીને ભવિષ્યનું આયોજન કરવું જોઈએ.

*બચત કરેલું ધન
-રોગના સમયે
-દુઃખના સમયે
-શત્રુઓથી મળેલ આપત્તિ સમયે
-સરકારી કટોકટીના સમયે
-મૃત્યુ બાદ પરિવારના રક્ષણ માટે
-પ્રાકૃતિક આપદાઓ સમયે
સહાયક થાય છે.

*પોતાને કોઈ પણ સ્વરૂપે મળેલી આવકના આ રીતે વિભાગ પાડવા જોઈએ.
-પોતાના અને પોતાના કુટુંબના ભરણપોષણ નો ખર્ચ
-ભરણપોષણનો ખર્ચ બાદ કરતાં મળતી બચત
-રાજ્ય દ્વારા સુનિયોજિત કર અથવા ટેક્સ ની રકમ
-ભવિષ્યની સુરક્ષા માટે કરવામાં આવતું નિવેશ
-સમાજની સહાયતા માટે કરવામાં આવતું દાન

*આ જગ્યાઓએ ક્યારે પણ પોતાનું ધન વ્યર્થ ન કરવું
-કોઈપણ પ્રકારની હિંસા પાછળ
-વેશ્યાવૃત્તિ પાછળ
-જેની યોગ્ય પરખ ન હોય તેવા સ્થાન, વ્યક્તિ કે સોદા પાછળ ધન વ્યર્થ ન કરવું.

* ભવિષ્યનો વિકાસ કરવો હોય તો નીચેની જગ્યાઓએ ધન વાપરવું.
-સાધન સુવિધાની વૃદ્ધિ માટે
-પોતાની ક્ષમતા અને શક્તિના વિકાસ માટે
-કોઈપણ પ્રકારની સેવા અથવા દાન માટે.

*આવડત અને મહેનતના સંયુક્ત ફળ રૂપે ધન પ્રાપ્ત થાય છે.
*ઉપયોગ, બચત, અને રોકાણ, વિનાની સંપત્તિ નકામી છે.
*અન્યાય શોષણ તથા દમન કરીને પ્રાપ્ત કરેલું ધન હંમેશા પોતાના પરિશ્રમથી પ્રાપ્ત કરેલા ધનનું પણ નાશ કરીને જાય છે.
*માત્ર પૈસા કમાવવા અર્થે કામ કરતા વ્યક્તિ નો સમય અને તે વ્યક્તિ સાથે રાખેલો સંબંધ પણ પૈસાથી જ માપવામાં આવે છે.
*ધન ના ઉપયોગથી સ્વાસ્થ્ય તેમજ નીતિનું રક્ષણ થાય છે ,માટે ધન એ અતિ મહત્વનું સાધન છે.
*રાજ્ય માટે કર અને સમાજ માટે દાન એ વિકાસનો આધાર છે.
*ધનની બાબતમાં જો જીવનસાથી સાથે યોગ્ય વિચાર વિમર્શ કરવામાં આવે અને તેમની ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવામાં આવે તો વ્યક્તિની સમૃદ્ધિ વધે છે અને તેનું ધન પણ વૃદ્ધિ પામે છે.
*જેમ સમુદ્રમાં વરસાદ પડવાથી કોઈ ફરક પડતો નથી તેમ પહેલીથી જ સંતુષ્ટ અને ધનવાન વ્યક્તિને દાન કરવાથી કોઈ ફરક પડતો નથી.
*વ્યક્તિએ પોતાના ધન, માન, અને આવડતની બાબતમાં યોગ્ય વ્યક્તિ સાથે વિચાર વિમર્શ કરવા અને અયોગ્ય વ્યક્તિ સમક્ષ આ બાબતે ચૂપ રહેવું.
*ધન સંબંધિત ઋણ બંધન વધી જાય તથા ધનનો અભાવ વર્તાય તો પરિવારનું ભરણપોષણ મુશ્કેલ થાય છે. આવા સમયે જો પરિવારના દરેક સભ્યોને બચત કરવાની આદત હોય તો ધનનું વ્યવસ્થાપન સરળ બની જાય છે.
*જે ભવિષ્યની યોજના માટે ધનનું વ્યવસ્થાપન કરે છે એ હંમેશા ધનની સમસ્યાઓથી મુક્ત રહે છે.
*જો દરિદ્રતા અને ધન સંબંધિત ઋણ બંધન માંથી કોઈ એકને પસંદ કરવામાં આવે તો દરિદ્રતા વધુ સારી કારણકે ઋણ બંધન વ્યક્તિનું પતન કરે છે.
*ધર્મથી જ અર્થ અને અર્થથી કામ અને મોક્ષનું જતન થાય છે. માટે પોતાના ધર્મની અર્થાત ફરજોની સમજ હોવી અતિ આવશ્યક છે.
*દરિદ્ર વ્યક્તિએ હંમેશા ગુણ આગળ રાખવો જોઈએ. કારણકે દરિદ્ર વ્યક્તિ હંમેશા ગુણ થી શોભે છે.
*સ્ત્રીઓ, મદિરા અને જુગાર પાછળ સમય અને સંપત્તિ વ્યર્થ કરનાર વ્યક્તિ જલ્દી દરિદ્ર થાય છે.
*ધન અને નદીનું જળ ચંચળ છે વહેતું રહે એમાં જ એની જાળવણી છે.

વધુ બીજા ભાગમાં...