#મોર્નિંગ_મજા
#niyatiKapadia
#નિયતીકાપડિયા
મારી બાલ્કનીમાં મેં કેટલા શોખથી હીંચકો મુકાવેલો, મને એમ કે રોજ એ હીંચકા પર બેસીને સંધ્યાના રંગોને માણતા માણતા હું મારું લેખનકાર્ય આગળ ધપાવીશ, મને ગમતા પુસ્તકો વાંચીશ...
રોજ સવાર સાંજ ત્યાં સૂરજના કિરણો અદભૂત નજારો રચવા આવે જ છે. રોજ રાત્રે ચાંદો જાળીમાંથી ડોકિયાં કરતો પૂછે છે, નિયતી નવરી પડી કે નહિ? કેટલા તો કુંડા મુક્યા છે મેં ત્યાં, હમણાંથી પાણી પણ બીજા પાસે રેડાવું છું અને કદાચ એટલે જ એમનો વિકાસ ધીમો પડી ગયો છે...નીચે અને ઘર બહાર રોપેલા છોડવાની સરખામણીમાં જેમને રોજ હું જાતે પાણી આપુ છું, એમના હાલચાલ પૂછું છું..! ઓલું પતંગિયું હવે નથી આવતું એને બદલે એક કાળો ભમરો આવે છે. હોલો હજી આવે છે, “પ્રભુ તું, પ્રભુ તું"ની એનું રટણ ચાલું જ હોય છે અફસોસ મારા જ કાન એને ધ્યાન દઈ સાંભળી નથી શકતા... રોજ સવારે મારા બેડરૂમમાંથી બહાર નીકળું ત્યારે એક નજર લોબીમાં પડે, થાય કે હમણાં પાછી આવું ને અહીં બેસુ.... પછી એ હમણાં ક્યારેય આવતું જ નથી! નિરાંતે બેસવાનો સમય કદાચ શોધી લઉં પણ નિરાંત ક્યાંથી લાવું?
ટુંકમાં તમે જ તમારાથી વિખૂટા પડી ગયા છો, તમારી નાની નાની, સાવ ક્ષુલ્લક કહી શકાય એવી ઈચ્છાઓને મારી રહ્યા છો તો એવું કરવા પાછળનું કારણ ચોક્કસ તપાસજો...
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?