કુંડળીમાં જો હોય અનિષ્ટકારી અંગારક યોગ તો થાય છે ભયંકર નુકસાન
કેટલીક વખત આપણી કુંડળીમાં એવા યોગ સર્જાતા હોય છે જેની આપણા પર ખરાબ અસર થતી હોય છે. આવો જ અનિષ્ટકારી યોગ એટલે અંગારક યોગ. જે જાતકની કુંડળીમાં આ યોગ હોય છે તેને પારાવાર મુશ્કેલીઓ આવે છે અને તેના બનેલા કાર્યો બગડે છે.
અંગારક યોગ એટલે શું?
મંગળ અને રાહુના ગોચરથી એક જ રાશિમાં આવી જવાથી અંગારક યોગનું નિર્માણ થાય છે. જેમની કુંડળીમાં આ અંગારક યોગ હોય છે તેમની માનસિક સ્થિતિ ડામાડોળ હોય છે તેમને નિર્ણય લેવામાં મુશ્કેલી આવે છે. અંગારક યોગ સાથે જેમને મંગળનો દોષ હોય તેમની સ્થિતિ તો ખુબજ ખરાબ હોય છે. જન્માક્ષરમાં જો સૂર્ય મંગળ અંગારક યોગ હોય તો તેના કારણ ચરમકક્ષાના વિપરિત પરિણામો મળી શકે છે જેથી જાતકનું જીવન બરબાદ થઈ જાય છે.
ખાસ કરીને સૂર્ય અને મંગળ કોઈ ખરાબ ભાવમાં યુતિ કરતા હોય તો તેનું પરિણામ અત્યંત અશુભ હોય છે. આપના જન્માક્ષરમાં પણ કદાચ આ યોગ હોય તો આપના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે.
અંગારક યોગની થતી અસર
મંગળ અને સૂર્યની યુતિથી અંગારક યોગ થાય છે. આ જાતકોને જન્મજાત જ શરીરમાં પિત્ત પ્રકૃતિનું પ્રાધાન્ય સર્જે છે. જેના કારણે ગેસ, એસિડિટી, કબજીયાત, અલ્સર, પાઇલ્સ, આંતરડાની બિમારી જેવા રોગ કરાવે છે. જો સૂર્ય મંગળની યુતિ જન્મકુંડળીના પહેલા સ્થાનમાં હોય તો બ્લડ પ્રેશરની બિમારી નાની વયે આવે છે. જો ચોથા સ્થાનમાં હોય તો કોલેસ્ટોરોલ વધી જવાની અને લોહીની નળીઓમાં બ્લોકેજ સર્જાય છે.
જો છઠ્ઠા સ્થાને આ યુતિ થાય તો આંતરડાંમાં ચાંદા પડવાં, કોલઇટીસની બિમારી થાય છે. જો આઠમા સ્થાનમાં આ યુતિ થાય તો મૂત્રાશય અને ગુદા માર્ગના રોગ થાય છે. ઇન્ફેક્શન થાય છે. બ્લેડર અને કિડનીનું ફૂલી જવું જેવા રોગ પણ થાય છે. બારમા સ્થાને સૂર્ય મંગળની યુતિના કારણે આંખના રોગ થાય છે. સિંહ લગ્ન અને વૃશ્ચિક લગ્નમાં અંગારક યોગનું સૌથી અશુભ ફળ મળે છે.
આ ઉપરાંત આઠમા સ્થાને કર્કનો મંગળ હોય તેના પર શનિ કે સૂર્યની દૃષ્ટિ પડતી હોય તો પણ જાડા પણું, હોર્મોન્સનું અસંતુલન,સ્ત્રીઓનો માસિક સબંધી સમસ્યા સર્જાય છે. જો છટ્ઠા સ્થાનમાં કર્ક રાશીનો મંગળ હોય કે બારમા સ્થાનમાં કર્ક રાશીનો મંગળ હોય તો તેવા જાતકોને રંગઅંધતા, પગમાં ખોડ આવે, શરીર પર ખીલ વધારે થાય, આવા જાતકોએ પૂરતી ઊંઘ લેવી, પાણી વધારે પીવું અને ગણપતિજીને જાસુદનું ફૂલ દર મંગળવારે ચઢાવવું.
કરો આ ખાસ ઉપાય
અંગારક યોગના દોષમાંથી મુક્તિ માટે ગણેશજીનું પૂજન કરવું, મંગળ અને રાહુના જાપ કરાવવા, શિવપૂજન કરવા જેવા ઉપાયો નિયમિત કરવાથી માઠી અસરોથી બચી શકાય.કોઈ પણ કાર્યની શરૂઆત હનુમાનજીની પૂજા કર્યા પછી જ કરવી. પ્રતિદિન ભગવાન શિવજીને અભિષેક કરવો, કાચુ દૂધ અને પુષ્પો ચડાવવા. લાલ પુષ્પ ભોલેનાથને અર્પણ કરવુ. આનાથી મંગળનો દુષ્પ્રભાવથી બચી શકાશે. શિવલિંગ પર દરેક મંગળવારે એક મુઠ્ઠી અક્ષત અર્પિત કરો જેનાથી અગ્ની તત્વ ઓછુ થઈ જાય. શિવલિંગ પર દર સોમવારે એક લોટો ગાયના દૂધનો અભિષેક કરવો.