એક મુલાકાત
અપને સાથ
કોઈકે સરસ કહ્યું છે કે..
"જો તમે પોતાની જાત સાથે સંવાદ કરવાનું ભૂલી ગયા છો તો તમે એક ઉમદા માણસને મળવાનું ચૂકી ગયા છો."
🌈 સાચે જ માણસનો માહ્યલો, માણસના પોતાના વ્યક્તિત્વ કરતા પણ વધુ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે...
એટલે તો કોઈકે સાચું જ કહ્યું છે કે જો તમારે expert advice જોઈએ તો પોતાની અંદર જાઓ...
માણસ ને જ્યારે પણ કોઈ સાચો રસ્તો કે માર્ગદર્શન જોઈએ ત્યારે એણે સૌ પ્રથમ બહારની દુનિયા કરતા પહેલા પોતાના સ્વ સાથે એક સંવાદ કરવો જોઈએ... એ જ એને સાચો રસ્તો દેખાડી શકે છે.. સાચું માર્ગદર્શન આપી શકે છે...
🌈 જીવનનો કોઈ પણ નિર્ણય હોય માણસે એની જાત સાથે ચર્ચા કર્યા વિના નિર્ણયો ના લેવા જોઈએ. આપણે દિવસમાં અમુક સમય તો પોતાના સ્વ સાથે વિતાવવો જ રહ્યો.. અગર માણસ પોતાના સ્વ સાથે સમય નથી વિતાવતો તો એને પોતાના જીવનમાં અસંતોષનો સામનો કરવો પડે છે.. ધૃણા નો સામનો કરવો પડે છે....
🌈 આપણે બહારના માણસો સાથે સંબંધ બાંધ્યા પણ કદાચ પોતાની જાત સાથે સંબંધ સ્થાપિત કરવાનું ચૂકી ગયા હોય એવું લાગે છે.... જેમ બે મિત્રો અરસપરસ એક બીજાનું ધ્યાન રાખે છે... સમય વિતાવે છે, એક બીજાનું સાંભળે છે, એમ જ માણસે પણ પોતાની જાત સાથે સમય વિતાવવો જોઈએ, જે આજના આ ડિજિટલ યુગમાં આપણે ચૂકી ગયા છીએ...
🌈 સાચે જ માણસ દુનિયાની દોડા દોડી માં પોતાની જાત ને મળવાનું ભૂલી ગયો છે.. બહાર ના સંબંધો કદાચ ક્યારેક ખોખલા પણ નીકળે, સ્વાર્થી પણ નીકળે પરંતુ માણસ ને પોતાની જાત સાથેનો સંબંધ હંમેશા મજબૂત જ હોવાનો... બહારનો માણસ કદાચ આપણને દગો પણ આપે.. પણ આંતરિક માણસ આપણને ક્યારેય દગો નહિ આપે... આ આપણે વિચારવું જોઈએ... આપણે આપણા સ્વ સાથે સમય વિતાવી, એની પણ પરવા કરવી જોઈએ....
🌈 આજે આપણે અમુક કામમાં નિષ્ફળ જઈએ કે તરત પોતાની જાતને દોષ દેવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે એકલા એકલા પોતાની જાત સાથે વાતો તો કરીએ છીએ પણ નકારાત્મક વાતો કરવાનું શરૂ કરી દઈએ છીએ. જેમકે હું એક કામ ય સારી રીતે નથી કરી શક્યો, હું એક exam પણ પાસ નથી કરી શક્યો, હું સાવ નકામો છું, વિગેરે... વિગેરે... પણ આપણે એ સમજવું જોઈએ કે જેમ કોઈ માણસ નિષ્ફળ જાય અને એ તમારી પાસે આવે અને એનું સાંભળીને તમે જે રીતે એને સાંત્વના આપો એમ જ, માણસે એ જ રીતે પોતાની જાતને સાંત્વના આપવી જોઈએ, સમજાવવી જોઈએ એને સમજવી જોઈએ.... કારણ કે તમે જેમ દુનિયાની બહારના સંબંધો સાચવો છો એ જ રીતે આંતરિક સંબંધ પણ સાચવો જેથી નકારાત્મકતા તમારી અંદર ઘર ના કરી જાય...
🌈 આપણે બહાર તો બવ બધાને ખુશ કરવાના પ્રયત્નો કર્યા હશે પણ ક્યારેય આપણે પોતાની જાતને ખુશ કરવાના પ્રયાસો નથી કર્યા... વરસાદમાં "પલળ્યા" તો ખરા પણ, પોતાની જાત સાથે "ભીંજાયા" નહિ. બસ બહારથી પલળીને કેમેરામાં એ ક્ષણ કેદ કરી પણ આપણે એ મજા ના લીધી જે પોતાની જાત સાથે ભીંજાઈને લેવાની હોય.... મનગમતું જમવા તો ગયા, પેટ ભરીને ખાઈ લીધું પણ એનો સ્વાદ લેવાનું ચૂકી ગયા... એ સ્વાદને આત્મસાત કરવાનું ચૂકી ગયા...
એટલે જ પીયૂષકુમાર "મસ્ત - કલંદર" લખે છે કે...
"લાગણી કેરો કોયડો તું ઉકેલી તો જો "પીયૂષ"
પ્રેમ રૂપી પાણી તું પોતાના માટે છોડી તો જો."
તો ચાલો મિત્રો.... આ નાના એવા લેખથી બસ માણસને પોતાની અંદર ડોકિયું કરવાનું યાદ કરાવ્યું છે... લેખમાં ભૂલ રહી ગઈ હોય તો મિત્ર સમજીને જણાવશો અને માફ કરશો.... જય દ્વારિકાધીશ...
પીયૂષકુમાર "મસ્ત-કલંદર"
તા.28.11.2021