satsang nu fal in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | સત્સંગનું ફળ

Featured Books
Categories
Share

સત્સંગનું ફળ

સત્સંગનું ફળ

"सङ्गतिः कारणं लोके सदा दोषगुणाश्रयः।

अतः सज्जन सङ्गेन त्यजेद्दुष्ट समागमम्।" 

"સંસારમાં સંગત જ દોષો અને ગુણોનું કારણ બને છે, તેથી સજ્જનોની સંગત કરવી જોઈએ અને દુષ્ટોની સંગતથી બચવું જોઈએ."

નારદજી, દેવઋષિ, જેમનું જીવન ભગવાનની કર્મ ભક્તિ અને સત્સંગની વાતો માં વ્યતીત હતું. એક દિવસ શ્રીકૃષ્ણના દરબારમાં પહોંચ્યા. તેમના ચહેરા પર ઉત્સુકતા ઝળકતી હતી, અને હાથમાં વીણા હજુ પણ ઝંકારી રહી હતી. નમન કરીને તેમણે પૂછ્યું, “હે નાથ! સત્સંગનું ફળ શું છે? એક સંતના સમાગમથી આત્માને શું પ્રાપ્ત થાય?”

શ્રીકૃષ્ણે, તેમની રહસ્યમયી મુસ્કાન સાથે, જવાબ આપ્યો, “નારદજી, આ પ્રશ્નનો ઉત્તર તમને નરકમાં રહેલો સૌથી મોટો ગારા માં ખદબદતો એક સડિયલ કીડો આપશે. જાઓ, તેની પાસે જાઓ અને પૂછો.” નારદજી આશ્ચર્યચકિત થયા. નરક? કીડો? સડિયલ? પણ ભગવાનના વચન પર શ્રદ્ધા રાખીને તેઓ નરકની ખાઈમાં ઉતરી ગયા.

નરકની ભયંકર અંધારી ગર્તામાં, જ્યાં દુર્ગંધ અને કલેષનું સામ્રાજ્ય હતું, નારદજીએ પેલા કીડાને શોધી કાઢ્યો. તે કીડો, ગંદકીમાં લપટાતો, નીચલી યોનિનું પ્રતીક હતો.

નારદજીએ પૂછ્યું, “હે કીડા, સત્સંગનું ફળ શું છે?” પણ ઓહ! પ્રશ્ન સાંભળતાં જ કીડાની નાની આંખો નારદજીના દિવ્ય તેજ સામે ટકી રહી, અને ક્ષણભરમાં તેના પ્રાણ નીકળી ગયા! નારદજી સ્તબ્ધ થઈ ગયા. “અરે! એક પ્રશ્ન પૂછ્યો અને પ્રાણ ગયા? આ તો ગજબ થયું!”

થોડા ગભરાટ સાથે નારદજી પાછા શ્રીકૃષ્ણ પાસે ગયા. “હે નાથ! આ શું? પ્રશ્ન પૂછતાં જ કીડો મરી ગયો! કૃપા કરી સ્પષ્ટ જવાબ આપો.” શ્રીકૃષ્ણે, હળવું હાસ્ય દબાવીને, કહ્યું, “નારદજી, ધીરજ રાખો. હવે જાઓ, એક વૃક્ષ પર તાજેતરમાં જન્મેલા પોપટના બચ્ચાને પૂછો. તે તમને જવાબ આપશે.”

હવે કીટક યોનીમાંથી પક્ષી યોની માં પ્રવેશ કર્યો.

નારદજી, થોડા સંકોચ સાથે, એક લીલાછમ વૃક્ષ પાસે પહોંચ્યા. ત્યાં, નાનકડા માળામાં, એક પોપટનું બચ્ચું નિર્દોષ આંખે તેમની સામે જોઈ રહ્યું હતું.

“હે બચ્ચા, સત્સંગનું ફળ શું છે?” નારદજીએ પૂછ્યું.

પણ અફસોસ! બચ્ચું એક નજરે નારદજીને જોતું રહ્યું, અને પછી તેની નાની આંખો બંધ થઈ ગઈ—એ પણ મરી ગયું! નારદજીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. “આ તો ભયંકર થયું! શું સત્સંગનું ફળ મૃત્યુ છે?”

હકીકત માં સત્સંગ માટે કહ્યું છે.

"जाड्यं धियो हरति वाचि सत्यं मानोन्नति दिशति पापमपाकरोति।

चेतःप्रसादयति दिक्षु तनोति कीर्तिं सत्संगति कथम् किं न करोति पुंसाम्॥" 

"સત્સંગતિ મનુષ્યની બુદ્ધિની જડતાને દૂર કરે છે, સત્યવાદિતા શીખવે છે, માન-સન્માન વધારે છે, પાપોને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન કરે છે અને કીર્તિને ફેલાવે છે. સત્સંગતિ મનુષ્ય માટે શું નથી કરતી?"

 

ગભરાયેલા નારદજી ફરી શ્રીકૃષ્ણ પાસે દોડ્યા. “હે નાથ! આ શું રમત રમો છો? જેને પૂછું, તેના પ્રાણ જાય છે! હવે હું નથી પુચવાનો.”

શ્રીકૃષ્ણે હળવું હસીને કહ્યું, “નારદજી, ગભરાશો નહીં. હવે એક ગાયના તાજા જન્મેલા વાછરડાને પૂછો. તે તમને ખરેખર જવાબ આપશે.”

નારદજીને લાગ્યું ચાલો હવે પશુ યોનીમાં જઈ પૂછી આવીએ. પણ હવે તેને થોડો દર પણ લાગતો હતો.

તે નારદજી, હવે થોડા ડરતા-ડરતા, ગૌશાળામાં પહોંચ્યા. ત્યાં એક નાનકડું વાછરડું, નવજન્મની નિર્મળતા સાથે, નારદજીને જોતું હતું.

નારદજીએ ધ્રૂજતા અવાજે પૂછ્યું, “હે વાછરડા, સત્સંગનું ફળ શું છે?” અને ઓહો! વાછરડું નારદજીની આંખોમાં જોતું રહ્યું, અને એક ક્ષણમાં તે પણ ધરતી પર ઢળી પડ્યું—મૃત્યુ થઇ ગયું. નારદજીનો ધીરજનો બાંધ તૂટી ગયો. “આ તો ગૌહત્યા થઈ! હે નાથ, આ શું ચાલે છે?”

આકુળ વ્યાકુળ ને ગુસ્સે ભરાયેલા નારદજી શ્રીકૃષ્ણ સામે સબ્દો થી લડવા તૈયાર થઇ ગયા. શ્રીકૃષ્ણ ને જોતા જ શાંત થઇ ગયા.

શ્રીકૃષ્ણે, શાંત રહીને, કહ્યું, “નારદજી, હવે એક આખરી વખત જાઓ. નગરના રાજાને ત્યાં હમણાં નવ જન્મેલો રાજકુમાર છે, તેને પૂછો. આ વખતે તમને જવાબ મળશે, અને એ મરશે નહીં.”

બસ એનું મૃત્યુ નહિ થાય તેની વધારે ધરપત હતી.

નારદજી, હવે લગભગ હારી ચૂકેલા, પણ ભગવાન ના શબ્દો પર સંપૂર્ણ વિશ્વાસ. તેઓ રાજમહેલમાં પહોંચ્યા. રાજાએ ઋષિનું ભવ્ય સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું, “મારે તમારા નવજાત રાજકુમારને મળવું છે.”

રાજા આશ્ચર્યચકિત થયો, “હે ઋષિ, એ તો હજી બોલી શકે તેમ નથી!” પણ નારદજીના આગ્રહથી રાજાએ બાળકને અંતઃપુરમાંથી લાવ્યો.

નારદજીએ, હવે થોડા ભયભીત, બાળક સામે જોઈને પૂછ્યું, “હે રાજકુમાર, સત્સંગનું ફળ શું છે?” બાળકે, નિર્મળ હાસ્ય સાથે, નારદજીને જોયું અને એકાએક બોલી ઉઠ્યું, “હે દેવઋષિ! શું તમને હજુ સત્સંગનું ફળ ન સમજાયું? સાંભળો, હું જ તે કીડો હતો, જેને તમે નરકમાં મળ્યા. તમારા દર્શનના પ્રભાવે હું નરકથી મુક્ત થયો અને પોપટની યોનિમાં જન્મ્યો. ફરી તમે આવ્યા, અને તમારા દર્શનથી હું ગૌયોનિમાં પહોંચ્યો. ત્યાં પણ તમારા દર્શનના પ્રભાવે હું આ રાજકુમાર તરીકે જન્મ્યો. હવે, આ દર્શનથી હું સામ્રાજ્ય પદવી પામીશ. આ હવે મનુષ્ય જન્મ મળ્યો તો હવે સત્સંગ અને સારા કર્મો થી ભગવદ પદ પામીસ.’

નારદજી સ્તબ્ધ થઈ ગયા. બાળકે આગળ કહ્યું, “दर्शना देव साधाव:, સાધુના દર્શન માત્રથી જ આત્માનું કલ્યાણ થાય છે. તમારા દર્શનથી મારો આત્મા નરકથી રાજમહેલ સુધી પહોંચ્યો. આ છે સત્સંગનું ફળ!”

"महाजनस्य संसर्गः कस्य नोन्नतिकारकः । पद्मपत्रस्थितं वारि धत्ते मुकताफलश्रियम् ॥" 

"મહાપુરુષોની સત્સંગતિ કોનું ઉત્થાન નથી કરતી? કમળના પાંદડા પર રહેલું પાણી મોતીની જેમ શોભે છે."

નારદજી, આનંદથી ભરપૂર, શ્રીકૃષ્ણ પાસે પાછા ફર્યા. “હે નાથ, તમારી લીલા અપાર છે! સાધુના દર્શનથી જ આટલું ફળ મળે, તો નિરંતર સત્સંગનું ફળ તો અકલ્પનીય હશે!” શ્રીકૃષ્ણે મુસ્કુરાતાં કહ્યું, “નારદજી, સત્સંગ એટલે આત્માની યાત્રા નરકથી નિર્વાણ સુધી. હવે જાઓ, અને આ વાત સૌને કહો!”
સાધુ-સંતોનો સમાગમ આત્માને નીચલી યોનિથી ઉચ્ચતમ મુક્તિ સુધી લઈ જાય છે. સત્સંગની શક્તિ અપાર છે, જે જીવને સંસારના બંધનોમાંથી મુક્ત કરી, કૈવલ્યનો માર્ગ બતાવે છે.

श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्। अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्।। (श्रीमद्भा० ७। ५। २३)

નવધા ભક્તિ ના પ્રથમ ચરણ માં જ આ આવે છે.

શ્રવણં (Shravanam):
આનો અર્થ છે ભગવાનની કથાઓ, લીલાઓ અને ઉપદેશોને સાંભળવું. આ ભક્તિનું પ્રથમ અને મહત્ત્વપૂર્ણ અંગ છે, જ્યાં વ્યક્તિ ભગવાન વિશે જ્ઞાન પ્રાપ્ત કરે છે.

કીર્તનં (Kirtanam):
આનો અર્થ છે ભગવાનના નામ, ગુણ અને મહિમાનું કીર્તન કરવું, ભજન ગાવું અથવા તેમનું જપ કરવું. ભગવાનના વિચારો ઘેર ઘેર પહોચાડવા આને જ કીર્તન કહે છે પચે તે ગધ્ય માં હોય કે પછી પધ્ય માં. આ ભક્તિનું બીજું અંગ છે, જે ભગવાન પ્રત્યેના પ્રેમ અને સમર્પણને વધારે છે.

અર્ચનં (Archana):
આનો અર્થ છે ભગવાનની મૂર્તિ અથવા પ્રતીકની પૂજા કરવી, તેમને ફૂલ, ફળ અને અન્ય પવિત્ર વસ્તુઓ અર્પણ કરવી. તેનાથી પણ આગળ ભગવાને ગીતામાં કહ્યું તેમ man અને બુધિ અર્પણ કર. આ ભક્તિનું ત્રીજું અંગ છે, જે ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરે છે.

આ ત્રણેય શબ્દો નવધા ભક્તિના અંતર્ગત આવે છે, જે ભગવાનની ભક્તિના નવ માર્ગો છે: શ્રવણં, કીર્તનં, સ્મરણં, પાદસેવનં, અર્ચનં, વંદનં, દાસ્યં, સખ્યં અને આત્મનિવેદનં.

નવધા ભક્તિ વિષે ફરી કયારેક કહીસ.