Bhool chhe ke Nahi ? - 58 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 58

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 58

મને એમ લાગ્યું કે હું લગ્ન કરીને આવી હતી એ દિવસો ફરી પાછા આવી ગયા. ફરીથી આપણી પોતાની જીંદગી જેવું કંઈ ન હતું. આગળના રુમમાં આપણી પથારી, મતલબ ફળિયામાંથી પસાર થનાર દરેકને એ પથારી દેખાય. બારી બારણા તો બધા સૂઈ જાય ત્યાં સુધી બંધ ન કરાય એટલે આવતાં જતાં દરેકને આપણી પથારી દેખાય. મને એટલી બધી શરમ આવતી હતી કે મારી બહાર નીકળીને કોઈ સાથે વાત કરવાની હિંમત જ ન થતી હતી. ને તમે તો આવીને બધું બરાબર હોય એમ સૂઈ ગયા. મને ખબર જ ન પડતી હતી કે આપણે ક્યાં સૂવાનું છે એ મમ્મી કેમ નક્કી કરતા હતા. ને તમે એ વાતનો કોઈ દિવસ વિરોધ પણ નહીં કરતા. મને તો પહેલા જ ના પાડી દીધી હતી કે મમ્મી સામે બોલવાનું નહીં. મને એ રાતે ઊંઘ જ ન આવી. દિકરાને લઈને ઘરે આવવાની જે ખુશી હતી એ બધી જાણે એક ડરમાં ફેરવાઈ ગઈ. કે મને જે નથી ગમતું એ વિશે તમને કે મમ્મીને કહેવાશે કે નહીં. બીજા દિવસે સવારે તમે નોકરીએ નીકળી ગયા. હું ઊઠી હતી વહેલી તમારા માટે ટિફિન બનાવવા પણ મમ્મીએ ના પાડી દીધી કે હું બનાવીશ. તું રહેવા દે. અને તમારા ગયા પછી પણ ઘરમાં કચરા પોતું વાસણ બધા જ કામ એમણે કર્યા. મને કંઈ પણ ન કરવા દીધું. હું જે કામ હાથમાં લઉં તે મારા હાથમાંથી મૂકાવી દે અને એમ જ કહે કે તું દિકરા પાસે બેસ. મને બિલકુલ ન ગમ્યું પણ છતાં હું કંઈ બોલી ન શકી. પરવાર્યા પછી મમ્મીએ કહ્યું કે ફળિયાવાળા બધા જોવા આવશે કે દિકરાને તારા ઘરેથી શું આપ્યું છે તો તું બધાને બતાવી દેજે. મેં કહ્યું કે મારા ઘરેથી જે આપ્યું છે તે કેમ મારે બધાને બતાવવાનું ? તો કહે એ તો બતાવવું જ પડે. અહીં તો એવું જ ચાલે. મેં કહ્યું કે પણ મારા ઘરેથી દિકરાને સોનાનું કંઈ નથી આપ્યું ફક્ત બેન, મામી અને મારા કાકાની છોકરીએ આપ્યું છે. હા, દિકરા માટે મમ્મીએ કપડા અપાવ્યા છે. તો મમ્મીએ કહ્યું કે કંઈ ની જે હોય એ બતાવવાનું. ને પછી બધા આવ્યા હતા જોવા માટે. મેં બધાને બતાવ્યું અને પછી બધા માટે શરબત પણ બનાવ્યું. ને ત્યારે મમ્મીએ બધાને એમ કહ્યું કે મેં તો આ લોકોને કહી દીધું કે આપણે તો દિકરાના જનોઈ આપણા સમાજના જે સમૂહ જનોઈ થાય છે એમાં જ દઈશું. આ સાંભળીને હું તો એકદમ અવાક જ થઈ ગઈ. કે હજી તો હું દિકરાને લઈને આવી છું, બીજું કંઈ વિચાર્યુ નથી ને મમ્મીએ તો સીધા એના જનોઈની વાત કરી દીધી ને એ પણ મારી મરજી જાણ્યા વગર. તમને કહેલું કે નહીં મને નથી ખબર પણ મને તો કહ્યું જ ન હતું. મારે એ દિવસે બધાને કહેવું હતું કે ના, અત્યારે એ કંઈ જ કહી શકાય જ્યારે સમય આવશે ત્યારે વિચારીશું. તમે નોકરીએથી આવ્યા. હું તમારું ટિફિન લઈને સાફ કરવા ગઈ તો મમ્મીએ મને ત્યાંથી ઉઠાડી મૂકી. કે તું જા હું સાફ કરું છું. અને મરજી ન હોવા છતાં મારે એ મૂકીને ઘરમાં આવી જવું પડ્યું. એ સાફ કર્યા પછી મમ્મી દિકરાને લઈને ફળિયામાં નીકળી ગયા. મેં પછી તમને મમ્મીએ જે કહ્યું હતું એ કહ્યું તો તમે મને વળતો જવાબ એમ આપ્યો કે હા એ તો બધું મમ્મી કહેશે એમ જ થશે. ત્યારે મને એમ લાગ્યું કે અત્યારથી જનોઈની વાત આ લોકો આવી રીતે કરે છે તો આગળ જતાં પણ મને કંઈ પૂછશે કે નહીં ? મારી મરજી જાણશે કે નહીં ? કે પછી હું આમ જ અંદરોઅંદર વિચારતી રહીશ ? તમે પણ એકવાર મને એમ ન પૂછયું કે કેમ તું શું વિચારે છે ?