Takshshila - 24 in Gujarati Classic Stories by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 24

Featured Books
Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 24

તક્ષશિલાના આંગણે વિજયનો મહોત્સવ તો હતો, પણ એ ઉત્સવની પાછળ રણમેદાનની રાખની ગંધ હજુ જીવંત હતી. સાત રાતનો એ કરાળ કાળ વીતી ગયો હતો, પણ તેણે પાછળ અનેક સવાલો છોડ્યા હતા. રાજમહેલના મુખ્ય ચોકમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું, લોખંડના ટુકડા અને ભાંગેલી ઢાલના ઢગલા ખડકાયા હતા.

મહારાજ આર્યનનો દરબાર આજે ભરાયો હતો, પણ દરબારના વાતાવરણમાં એક પ્રકારની ગંભીરતા હતી.

સૂર્યપ્રતાપના ખભે હજુ સફેદ પાટો બાંધેલો હતો, છતાં તેની આંખોમાં ક્ષત્રિય તેજ ઓછું થયું નહોતું. ચંદ્રપ્રકાશ તેની બાજુમાં બેઠો હતો, જેનું મુખ અત્યારે રાજવી ગંભીરતાથી છવાયેલું હતું.

આચાર્ય ચાણક્ય મંચની મધ્યમાં આવ્યા. તેમની નજર દરબારના દરેક ખૂણે ફરી વળી, જાણે તેઓ હજુ પણ કોઈ છુપાયેલા 'પડછાયા'ને શોધી રહ્યા હોય.

"મહારાજ," ચાણક્યનો અવાજ શાંત પણ મક્કમ હતો, "યુદ્ધ મેદાનમાં જીતવું એ વીરતા છે, પણ જીત્યા પછી રાજ્યની શુદ્ધિ કરવી એ રાજધર્મ છે. ગદ્દારીનું બીજ જો મૂળમાંથી ન ઉખેડાય, તો તે ફરીથી પાંગરે છે."

મહારાજે સંકેત કર્યો અને બે સૈનિકો રાજમાતા મૃણાલિનીને લઈને દરબારમાં પ્રવેશ્યા. તેમના હાથમાં બેડીઓ હતી, પણ તેમનું મસ્તક હજુ પણ અહંકારમાં ઊંચું હતું.

"મૃણાલિની," મહારાજ આર્યનનો અવાજ ભારે હતો, "તમે માત્ર એક સ્ત્રી નથી, તમે આ વંશની વહુ છો. તમે જે કર્યું તે માત્ર વિશ્વાસઘાત નથી, પણ માતૃભૂમિનું અપમાન છે. તમારી સજા શું હોવી જોઈએ?"

દરબારમાં સન્નાટો છવાઈ ગયો. મૃણાલિનીએ અટ્ટહાસ્ય કર્યું, "જેને તમે સજા કહો છો, તેને હું સ્વાતંત્ર્ય માનું છું. આ સિંહાસન લોહી વગર ક્યારેય મળતું નથી, મેં માત્ર કોશિશ કરી હતી."

ચંદ્રપ્રકાશ ઉભો થયો. તેણે આચાર્ય તરફ જોયું અને પછી મહારાજ તરફ. "પિતાજી, આચાર્યએ મને શીખવ્યું છે કે દંડ એવો હોવો જોઈએ જે અપરાધને પશ્ચાતાપમાં ફેરવે. મૃત્યુદંડ આપવો એ એમના પાપોનો અંત લાવવા જેવું હશે, પણ એમને જીવતા રાખવા એ એમની સજા હોવી જોઈએ. મારો પ્રસ્તાવ છે કે રાજમાતાને 'જીવંત કારાવાસ' આપવામાં આવે—પણ મહેલની સુખ-સાહબીમાં નહીં, તક્ષશિલાના પવિત્ર મઠમાં, જ્યાં તેઓ દરરોજ એ પ્રજાની સેવા કરે જેનું લોહી વહેવડાવવા તેમણે શત્રુનો સાથ આપ્યો હતો."

ચાણક્યએ સહમતીમાં માથું હલાવ્યું. "ન્યાયમાં કરુણાનો આ અંશ જ ચંદ્રપ્રકાશને શ્રેષ્ઠ શાસક બનાવશે."

દરબારની આ કાર્યવાહી ચાલતી હતી, ત્યારે જ મહેલના દ્વારે એક નવો અવાજ સંભળાયો. એક યુવાન, જેનો પહેરવેશ તક્ષશિલાનો નહોતો—તેણે લાંબો અંગરખો અને માથે મગધ શૈલીનો સાફો બાંધ્યો હતો. તે હાંફતો હાંફતો અંદર આવ્યો અને આચાર્યના ચરણોમાં ઢળી પડ્યો.

"આચાર્ય! અનર્થ થઈ ગયો છે!"

ચાણક્યએ તેને બેઠો કર્યો. "શાંત થા, ભદ્રકેતુ. તું મગધથી આટલી જલ્દી કેમ આવ્યો?"

ભદ્રકેતુ ચાણક્યનો એક તેજસ્વી ગુપ્તચર હતો. તેણે હાંફતા હાંફતા કહ્યું, "મગધના સમ્રાટ ધનનંદને ભદ્રશાલની હારના સમાચાર મળી ગયા છે. તેમણે ક્રોધમાં આવીને આપના જૂના મિત્ર અને મહાઅમાત્ય શકટારને કારાવાસમાં નાખ્યા છે.

એટલું જ નહીં, મગધની એક વિશાળ સેના 'પર્વતક' રાજા સાથે મળીને હવે તક્ષશિલા તરફ નહીં, પણ અખંડ ભારતની સીમાઓ ઘેરવા કરવા નીકળી છે. તેઓ તક્ષશિલાને ભૂખે મારવાની યોજના બનાવી રહ્યા છે."

દરબારમાં ખળભળાટ મચી ગયો. 'પર્વતક' એ પર્વતીય પ્રદેશોનો શક્તિશાળી રાજા હતો, જેની પાસે દુર્ગમ પહાડોનું જ્ઞાન હતું.

ચાણક્યની ભ્રકુટી ખેંચાઈ. "તો ધનનંદે હવે ઘેરાબંધીની નીતિ અપનાવી છે. તે જાણે છે કે તક્ષશિલાને સીધું જીતવું અઘરું છે, એટલે તે આપણો માર્ગ રોકવા માંગે છે."

તેમણે સૂર્યપ્રતાપ અને ચંદ્રપ્રકાશ તરફ જોયું. "પુત્રો, હવે રક્ષણનો સમય પૂરો થયો. હવે આપણે 'ચક્રવ્યૂહ'ની બહાર નીકળવું પડશે. તક્ષશિલાની અસ્મિતાને બચાવવા માટે આપણે પર્વતક રાજા સાથે સંધિ કરવી પડશે અથવા તેને હરાવવો પડશે."

રાત્રે, મહેલના છત પર ચાણક્ય અને બંને ભાઈઓ બેઠા હતા. આકાશમાં તારા ચમકતા હતા, પણ નીચે ધરતી પર આવનારા તોફાનની અસ્વસ્થતા હતી.

"આચાર્ય," સૂર્યપ્રતાપે પૂછ્યું, "આ પર્વતક રાજા કોણ છે? શું તે મગધનો મિત્ર છે?"

"ના સૂર્ય," ચાણક્યએ હળવું સ્મિત કર્યું, "રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે શત્રુ નથી હોતા. પર્વતક માત્ર સત્તાનો ભૂખ્યો છે. જો આપણે તેને બતાવી શકીએ કે મગધ કરતાં તક્ષશિલા સાથે રહેવામાં તેનો ફાયદો છે, તો તે આપણી પડખે આવી શકે છે. પણ એ માટે આપણે એક દૂત મોકલવો પડશે."

"હું જઈશ," ચંદ્રપ્રકાશે મક્કમતાથી કહ્યું.

"ના યુવરાજ," ચાણક્યએ તેને અટકાવ્યો, "તમારે અત્યારે પ્રજાનું મનોબળ વધારવાનું છે. દૂત તરીકે આપણે કોઈ એવાને મોકલવો પડશે જે શસ્ત્રમાં નહીં, પણ શાસ્ત્ર અને વાણીમાં માહિર હોય. અને મારી નજરમાં એક એવું પાત્ર છે જે અત્યારે તક્ષશિલાના અતિથિગૃહમાં છુપાયેલું છે."

ચાણક્યએ એક મશાલચીને ઈશારો કર્યો. થોડી વારમાં એક સ્ત્રી પાત્રનો પ્રવેશ થયો—જેના ચહેરા પર તેજ હતું અને આંખોમાં ચતુરતા. તેનું નામ હતું 'સુવર્ણા', જે તક્ષશિલાની સૌથી કુશળ નર્તકી અને વાણી-વિશારદ હતી.

"આ છે સુવર્ણા," ચાણક્યએ ઓળખાણ કરાવી. "તે પર્વતક રાજાના દરબારમાં જશે, પણ નર્તકી તરીકે નહીં, તક્ષશિલાના 'અદ્રશ્ય શસ્ત્ર' તરીકે."

નવી વ્યૂહરચના ઘડાઈ રહી હતી. તક્ષશિલા હવે પહાડોની પેલે પાર પોતાની હદ વધારવા જઈ રહ્યું હતું.