Life path - 51 in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન પથ ભાગ-51

Featured Books
Categories
Share

જીવન પથ ભાગ-51

જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૫૧
 
(ગતાંકથી આગળ)
        રામદાદાએ ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, ‘બેટા, અત્તર વેચનારો જ્યારે સાંજે ઘરે જાય ત્યારે તેને એ વાતનો સંતોષ હોય છે કે ભલે આજે કોઈએ અત્તર નથી ખરીદ્યું પણ આખો દિવસ હું એ સુગંધની વચ્ચે રહ્યો છું. મારે મન તમે બધા જ આ ઓફિસના ફૂલો છો. જો હું તમારી સાથે પ્રેમથી વર્તીશ તો મારી પાસે પણ એ પ્રેમની સુગંધ પાછી આવશે જ. હું કોઈને મદદ કરી શકું એટલો મોટો માણસ નથી પણ હું કોઈને નડું નહીં એટલી સમજણ તો ભગવાને આપી છે ને!’
        મયંકને સમજાઈ ગયું કે રામદાદા એ જ 'અત્તરની શીશી' હતા. તેમનાથી ઓફિસના કામમાં કોઈ આર્થિક વધારો નહોતો થતો પણ તેમની હાજરીથી સ્ટાફની કાર્યક્ષમતા અને માનસિક સુખાકારીમાં મોટો વધારો થતો હતો. મયંકના જીવનમાંથી ધીમે ધીમે ચીડિયાપણું જતું રહ્યું અને તેણે પણ બીજા સાથે નમ્રતાથી વાત કરવાની શરૂઆત કરી. તેણે રામદાદા પાસેથી કંઈ ખરીદ્યું નહોતું પણ તેમની સજ્જનતાની સુગંધ તેનામાં પણ ઉતરી આવી હતી.
        આ પ્રસંગ આપણને શીખવે છે કે આપણી આસપાસ પણ એવા ઘણા લોકો હોય છે જેઓ મૂંગા મોઢે આપણને ઘણું શીખવી જાય છે. આપણે હંમેશાં એવા લોકોની પાછળ દોડીએ છીએ જેઓ આપણને સત્તા કે સંપત્તિ અપાવી શકે પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જે લોકો આપણને શાંતિ અને સકારાત્મકતા આપી શકે છે તેઓ ખરેખર અનમોલ છે. ‘સોબત તેવી અસર’ ના ન્યાયે જો તમારી આસપાસના લોકો પ્રમાણિક અને પ્રેમાળ હશે તો તમને જીવનનો સાચો આનંદ આપોઆપ મળતો રહેશે. સુખ એ વસ્તુઓમાં નથી પણ એવા લોકોના સંગાથમાં છે જેમના જીવનનો પાયો સદાચાર પર છે.
        આજના જીવનમાં જ્યારે આપણે ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છીએ ત્યારે એક સાચો અને સજ્જન મિત્ર કે માર્ગદર્શક કોઈ થેરાપી જેવું કામ કરે છે. અત્તરની શીશી ખાલી થઈ જાય તો પણ તેની કાચની દીવાલોમાં સુગંધ લાંબા સમય સુધી વળગી રહે છે, તેવી જ રીતે કોઈ મહાન વ્યક્તિ જ્યારે આપણા જીવનમાંથી જાય છે ત્યારે પણ તેના વિચારોની મહેક આપણને માર્ગ બતાવતી રહે છે. એટલે જ વડીલો કહેતા કે ‘કુસંગથી તો એકલા રહેવું સારું.’ કારણ કે જે સંબંધમાં સુગંધ નથી ત્યાં માત્ર દુર્ગંધ જ મળે છે.
        તમારા મિત્ર વર્તુળને એવા લોકોથી ભરો જેમને મળ્યા પછી તમને તમારી જાત પર ગર્વ થાય અને જીવવાની નવી ઈચ્છા જાગે. યાદ રાખો કે તમે પણ કોઈના માટે 'અત્તરની શીશી' બની શકો છો. તમારી વાણી, તમારા વર્તન અને તમારી મદદ કરવાની ભાવના દ્વારા તમે પણ બીજાના જીવનમાં અજાણતા સુગંધ ફેલાવી શકો છો. જ્યારે તમે કોઈને નિઃસ્વાર્થપણે મદદ કરો છો અથવા કોઈની વાત ધીરજથી સાંભળો છો ત્યારે તમે કંઈક વેચતા નથી પણ તમે તમારી સારપની સુગંધ ફેલાવો છો. જગતને વધુ સુંદર બનાવવા માટે કોઈ મોટા ચમત્કારની જરૂર નથી. બસ એકબીજા સાથે સારા માણસ બનીને રહેવાની જરૂર છે. અત્તરની જેમ જ તમારી સારપ પણ ક્યારેય વ્યર્થ જતી નથી. તે તો સમય જતાં વધુ ને વધુ મહેકતી રહે છે.
 
        આજના 'સોશિયલ મીડિયા'ના યુગમાં આપણે બીજાના 'બહાર' ને જોઈને આપણા 'અંદર' ને નીચું માનીએ છીએ. યાદ રાખજો, જે દેખાય છે તે બધું સત્ય નથી. તમારી સ્પર્ધા માત્ર તમારી ગઈકાલ સાથે જ રાખો. ઘણીવાર આપણે દલીલમાં 'સાચા' સાબિત થઈ જઈએ છીએ પણ તે વ્યક્તિને ખોઈ બેસીએ છીએ. યાદ રાખો, સાચા હોવું એ અહંકારનો સંતોષ છે પણ સાથે હોવું એ હૃદયનો આનંદ છે. ક્યારેક જાણીજોઈને હારી જવું એ સૌથી મોટી જીત હોય છે.
        જ્યાં તમારા શબ્દોની કિંમત ન હોય ત્યાં મૌન એ સૌથી મોટું અને અસરકારક 'અત્તર' છે. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક તમારું સ્મિત અને શાંતિ સામેવાળાને ઘણું કહી જાય છે. આપણે હંમેશાં વિચારીએ છીએ કે ‘જ્યારે બધું બરાબર થશે, ત્યારે હું ખુશ થઈશ.’ સત્ય એ છે કે જ્યારે તમે ખુશ રહેવાનું શરૂ કરશો ત્યારે બધું આપોઆપ બરાબર થવા લાગશે. જીવનની ખામીઓ સાથે જ તેને પ્રેમ કરતાં શીખો. આપણે બીજાને માફ કરી દઈએ છીએ પણ પોતાની જૂની ભૂલો માટે વર્ષો સુધી પોતાની જાતને કોસતા રહીએ છીએ. તમે માણસ છો, ભગવાન નહીં. ભૂલ થઈ તેમાંથી શીખો અને પોતાની જાતને માફ કરીને આગળ વધો.
            તમારું આખું જીવન એ તમે લીધેલા નાના-નાના નિર્ણયોનો સરવાળો છે. એટલે જ જ્યારે પણ મૂંઝવણ થાય ત્યારે હૃદય પર હાથ રાખીને પૂછજો. શું આ નિર્ણય મને શાંતિ આપશે? જો જવાબ 'હા' હોય તો દુનિયા ગમે તે કહે એ રસ્તે ચાલ્યા જજો.