The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભારત ચીનના યુદ્ધનો દીર્ધદ્રષ્ટા ચીનના ભાવિ ખતરા અંગે ચેતવણીની પ્રથમ સાયરન જેણે વગાડી એ દીર્ઘદૃષ્ટા ભારતીય નહિ, પણ અંગ્રેજ હતો. નામ મેજર-જનરલ ડબ્લ્યુ. ડી. એ. લેન્ટેઇન હતું. દક્ષિણ ભારતમાં વેલિંગ્ટન ખાતેની ડિફેન્સ કોલેજનો તે સર્વિસિઝ સ્ટાફ (પ્રિન્સિપાલના દરજ્જાનો) કમાન્ડન્ટ હતો. ભારત પ્રત્યે લગાવ હોવાને લીધે તેણે ૧૯૪૭માં સ્વદેશ પાછા ફરવાનું માંડી વાળી ડિફેન્સ કોલેજના ભારતીય અફસરોને તાલીમ આપવાના કાર્યને વળગી રહ્યો હતો. ચીને તિબેટ પર કબજો જમાવ્યાના સમાચાર મળ્યા બાદ ઓક્ટોબર, ૧૯૫૦માં લેન્ટેઇન ચાલુ પીરિઅડે લેક્ચર હોલમાં પ્રવેશ્યો અને પીરિઅડ લેતા સીનિઅર ઓફિસરને ટૂંક સમય પૂરતું લેક્ચર રોકવાનું કહી તાલીમાર્થી અફસરોને સંબોધ્યા. બહુ સ્પષ્ટ શબ્દોમાં તેણે ભારતના રાજકીય આગેવાનોને તેમની ટૂંકી દૃષ્ટિ બદલ વખોડી કાઢ્યા. અફસરોને ચેતવણીના સૂરમાં જણાવ્યું કે ચીનાઓ તિબેટમાં ઘૂસી આવ્યા પછી ભારતની સરહદનો દરવાજો ખૂલી ગયો હતો. ભવિષ્યમાં તે દ્વાર મારફત ચીની લશ્કર ક્યારેક ને ક્યારેક ભારત પર અચૂક આક્રમણ લાવવાનું હતું, માટે ભારતે અત્યારે જ પ્રતિકાર માટે લશ્કરી તેમજ વ્યૂહાત્મક તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. મેજ૨-જન૨લ લેન્ટેઇને છેલ્લે તાલીમાર્થી અફસરોને કહ્યું : ‘ભવિષ્યમાં તમારા પૈકી અમુક જણાએ ચીનાઓ સામે લડવાનો વારો આવશે.' ભવિષ્યવાણી સાચી પડવાની હતી. લેક્ચર હોલમાં મોજૂદ રહેલા ભાવિ બ્રિગેડિઅર જે.પી. દળવીના અને ભાવિ લેફ્ટનન્ટ-કર્નલ બૈજ મહેતાના ભાગ્યમાં ૧૨ વર્ષ પછી ખરેખર યુદ્ધમો૨ચે જવાનું લખ્યું હતું. દળવી યુદ્ધકેદી તરીકે પકડાવાના હતા, જ્યારે મહેતાના નસીબમાં તો શહીદી હતી. મેજર-જનરલ લેન્ટેઇનનો અવાજ દિલ્હી સુધી પહોંચવાનો ન હતો, પણ સદ્ભાગ્યે નાયબ વડા પ્રધાન સરદાર પટેલ ત્યાં હંમેશ મુજબ જાગૃતાવસ્થામાં હતા. માત્ર નેહરુને જગાડવાનું અઘરું કામ તેમણે કરવાનું હતું, જેમાં સફળતા મળવાનો ચાન્સ બહુ ઓછો હતો. આમ છતાં નવેમ્બર ૭, ૧૯૫૦ના રોજ તેમણે નેહરુને લાંબો પત્ર લખી ચીનના જોખમ અંગે વાકેફ કર્યા. પત્રનો સાર એ કે ચીન ખાતેના ભારતીય એલચી કે. એમ. પર્ણિકર તેમના દરેક રિપોર્ટમાં તે સામ્યવાદી દેશના વલણને બેબુનિયાદ રીતે મૈત્રીભર્યું ગણાવી રહ્યા હતા. (પર્ણિકર હાડોહાડ સામ્યવાદી હતા અને ચીન પ્રત્યે હમદર્દી ધરાવતા હોવાનું તેમના અહેવાલોમાં સ્પષ્ટ જણાતું હતું). ભવિષ્યમાં દૂર સુધી નજર પહોંચાડી શકતા સરદાર પટેલે નેહરુને દેશનું લશ્કરી ખાતું તાકીદે મજબૂત બનાવવાનુ સૂચવ્યું. સરદારનો પત્ર જો કે એળે ગયો અને બીજે મહિને તો તેઓ અવસાન પામ્યા. નેહરુને અરીસો દેખાડે તેવી એકમાત્ર વ્યક્તિને દેશે ગુમાવી દીધી. https://www.facebook.com/share/p/15WLLdTvYYa/
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser