Quotes by Virrajsinh jadeja in Bitesapp read free

Virrajsinh jadeja

Virrajsinh jadeja

@virrajsinh


પંચવર્ષી રાજ કાજે જીભે સરસ્વતી વર્ષાય
સત્તા ના સોપાન પછી તો ખાંડણી મંડાય
મીઠું બોલતા પાડાઓ ના પટારા ભરાય
સાચા બોલું સંતો ને તો જેલો માં નખાય
મુછાળા મુજરા કરે ને ભોળા ગોથા ખાય

કર્મ હઠીલો જીવડો ભલે રોજ દુઃખી થાય
એના આત્મા માં ઓતપ્રોત સુગંધ નિરંતર વાય
(ને સામે)
ખાદી કેરા કુર્તા ના,ખિસ્સાઓ પણ કતરાય
આ તે કેવો માણા ,કે પરસેવો વિચિત્ર ગંધાય
મુછાળા મુજરા કરે ને ભોળા ગોથા ખાય

(ભોળો માનવી આગળ કહે છે )
‘વીર’જીભે સાકાર ,પેટે કાતર એમ મારાથી નો ફરાય
ભલે ભોળા ગોથા ખાય આમ મૂછ રાખી મુજરા થોડી ને કરાય

ભાવાર્થ:-
"મુછાળા મુજરા કરે ને ભોળા ગોથા ખાય" કવિતાનો ભાવાર્થ
આપણે સૌ રોજ સમાચારમાં જોઈએ છીએ કે રાજકારણમાં પદ મેળવવા માટે લોકો કેવા કેવા ખેલ કરે છે અને સમાજ કે પરિવાર માં ચાલાક વ્યક્તિ કેવા કેવા ખેલ કરે છે , એ જ વાતને આ કવિતા સીધી અને સટાક ભાષામાં રજૂ કરે છે.

પહેલો અંતરો: ચૂંટણી વખતે અને પછી
"પંચવર્ષી રાજ કાજે જીભે સરસ્વતી વર્ષાય" એટલે કે ચૂંટણીના પાંચ વર્ષે જ્યારે નેતા મત માંગવા આવે ત્યારે એની જીભ પર સરસ્વતી બેસી જાય છે. મોટા મોટા વચનો, મીઠી મીઠી વાતો, ગરીબોના બેલી હોવાના દાવા. પણ "સત્તા ના સોપાન પછી તો ખાંડણી મંડાય" એટલે જેવી ખુરશી મળે કે તરત જ વચનો ભૂલી જાય. પછી તો જનતાનું શોષણ શરૂ થાય, ભ્રષ્ટાચારની ખાંડણી મંડાય.

બીજો અંતરો: જુઠ્ઠાને ઈનામ, સાચાને સજા
"મીઠું બોલતા પાડાઓ ના પટારા ભરાય" અહીં પાડા એટલે ચાપલૂસ લોકો. જે નેતાના હા માં હા મિલાવે, ખોટી પ્રશંસા કરે, એના ઘર ભરાઈ જાય. સામે "સાચા બોલું સંતો ને તો જેલો માં નખાય" એ કડવું સત્ય છે. જે માણસ સિસ્ટમની સામે અવાજ ઉઠાવે, સાચું બોલે, એને જ જેલ ભેગો કરી દેવામાં આવે. આ લીટી આજના સમયનું સૌથી મોટું દર્દ બતાવે છે.

ત્રીજો અંતરો: બે પ્રકારના માણસ
"કર્મ હઠીલો જીવડો ભલે રોજ દુઃખી થાય" એ સામાન્ય, મહેનતુ અને ઈમાનદાર માણસની વાત છે. એ રોજ તકલીફ વેઠે છે પણ "એના આત્મા માં ઓતપ્રોત સુગંધ નિરંતર વાય" કારણ કે એનું મન સાફ છે. એના કર્મની સુગંધ એને શાંતિ આપે છે.
"ને સામે" શબ્દથી ચતુર વ્યક્તિ નું વ્યક્તિત્વ બતાવે છે "ખાદી કેરા કુર્તા ના, ખિસ્સાઓ પણ કતરાય" એટલે નેતાના સફેદ કુર્તાના ખીસ્સા ભ્રષ્ટાચારના પૈસાથી એટલા ભરેલા હોય કે ફાટી જાય. "આ તે કેવો માણા, કે પરસેવો વિચિત્ર ગંધાય" એ વ્યંગ છે. મજૂરનો પરસેવો મહેનતની સુગંધ લાવે, પણ આ નેતાનો પરસેવો પાપ અને લાંચની વિચિત્ર દુર્ગંધ મારે છે.

છેલ્લી પંક્તિ: સમાજનું ચિત્ર
"મુછાળા મુજરા કરે ને ભોળા ગોથા ખાય" એ આખી કવિતાનો સાર છે. મુછાળા એટલે સત્તાધારી, પાવરવાળા લોકો. એ આજે આ પાર્ટીમાં, કાલે પેલી પાર્ટીમાં મુજરા કરે, નાચે. પોતાનો ફાયદો જુએ. અને ભોળા એટલે સામાન્ય જનતા. એ બિચારી એમના વાયદાઓ પર વિશ્વાસ કરીને દર વખતે છેતરાય, ગોથા ખાય.

સંદેશ
આ કવિતા કોઈ એક પક્ષની વિરુદ્ધ નથી. એ આખી સિસ્ટમ પર કટાક્ષ છે જ્યાં ઈમાનદારી હારે છે અને ચાલાકી જીતે છે. મારો કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી ભોળી જનતા જાગશે નહીં, સમજશે નહીં, ત્યાં સુધી મુછાળા લોકો મુજરા કરતા રહેશે.
નીતિમત્તા થી જીવતા માણસ નો જીવાત્મા રાજી રહે છે,પૈસા પાછળ ઘેલી પ્રજા નીતિમત્તા ને નેવે મૂકી,સમાજ ની સાથે સાથે દેશ ને ડુબાવી મૂકે.

Read More