આ સંતે કર્યું દિવસમાં 108 વાર સ્નાન, જાણો છો કેમ
મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા એકનાથ. ભારતભરમાં તેઓ ખ્યાતિ પ્રાપ્ત સંત તરીકે ગણના પામ્યા છે. તેઓ એક તપસ્વી હતા. ભારે પરોપકારી અને સરળ સ્વભાવના હતા. એક દિવસ નદીમાં સ્નાન કરીને તે પોતાના નિવાસ સ્થાન તરફ પાછા ફરી રહ્યાં હતા ત્યારે તે એક વસતીમાંથી પસાર થયા. તેમના માથે અનાચક પાણી પડ્યું. તેમણે પાછળ ફરીને જ્યારે ઉપર જોયું ત્યારે એક વ્યક્તિ માટીના ટીંબા પર બેસીને કોગળા કરી રહી હતી. તે પાણી તેમના માથા પર પડ્યું હતું. આમછતાં તેમણે ગુસ્સે ન થતાં કોઈ રોષ દાખવ્યો નહોતો. તેમના ચહેરા પર પણ કોઈ નાપસંદગીના ભાવ જોવા મળ્યાં ન હતા. એક શબ્દ પણ બોલ્યા વગર તે પાછા નદી તરફ ફરી ગયા.
તેમણે નદીમાં બીજીવાર સ્નાન કર્યું અને ફરીથી પોતાના રસ્તે ચાલવા લાગ્યા. વળી પાછા તે વસતીમાંથી પસાર થયાં. આ વખતે પેલા માણસે તેના પ્રતિક્રિયા જાણવાના ઈરાદે હાથે કરીને તેમના પર કોગળા કરી દીધાં. આ વખતે સંત એકનાથે કોઈ પ્રતિક્રિયા ન આપી. પાછા તે નદી તરફ ફરીથી સ્નાન કરવા ચાલ્યા ગયા. આમછતાં પેલો દુષ્ટ વ્યક્તિ પાછા ફરે ત્યારે ફરી ફરીને તેમના પર કોગળા કરી દેતો હતો અને એકનાથજી ફરી પાછા સ્નાન કરી આવી પોતાના રસ્તે આગળ વધવા જતા. આમ 108 વાર થયુંય અંતે પેલા દુષ્ટથી ન રહેવાયું. તેને લાગ્યું કે આવો વ્યવહાર કરનારા કોઈ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. આ જરૂર કોઈ પહોંચેલા મહાત્મા હોવા જોઈએ.
એ વિચાર સાથે જ તેને પસ્તાવો થયો. તે સંતના ચરણોમાં ઝુકી પડ્યો. તે બોલ્યો કે મહારાજ મારી દુષ્ટતાને માફ કરો. મેં તમને બહું જ પરેશાન કર્યા. આમછતાં તમે તમારી ધીરજ ન ખોઈ. મને ક્ષમા કરી દો. મહાત્મા એકનાથે તેને સાંત્વના આપતા કહ્યું કે બેફિકર રહો. ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. તમે તો મારી પર મહેરબાની કરી છે. આજે મને એકસોઆઠ વાર સ્નાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે તમારા કારણે થયું તમે મારા પર કેટલો ઉપકાર કર્યો. સંતનું કહેવું સાંભળી પેલો દુષ્ટાત્મા જોરશોરથી રડ઼વા લાગ્યો.. તેને પોતાના કાર્ય પર ભારે પસ્તાવો થવા લાગ્યો.