હનુમાનજી સમાન નથી કોઈ દાસ, તેઓ આજે કરે છે રામભક્તોનો બેડો પાર
એ સંપૂર્ણપણે સત્ય છે કે જે ભગવાન શિવના ભક્તો હોય છે તેને ક્યારેય વાંધો આવતો નથી. જ્યારે જ્યારે પૃથ્વી પર પ્રલય આવ્યો ત્યારે ભગવાન શિવના ભક્તોનો વાળ વાંકો થયો નથી. ભગવાન શિવ પોતાના ભક્તોને બચાવવા માટે અનેક અવતાર લીધાં છે. ભોળાનાથે ત્રેતાયુગમાં હનુમાનજીનો અવતાર લઈને ભગવાન રામની મદદ કરી હતી. કહેવાય છે કે તેમનાથી મોટાં કોઈ દાસ નથી.
શિવજીએ ભગવાન વિષ્ણુને વરદાન આપ્યું હતું કે તે તેઓ તેમના દાસ થઈને રહેશે. જ્યારે શ્રીહરિએ રામ અવતાર લીધો ત્યારે ભગવાન શિવ હનુમાનજીનું રૂપ લઈને રામના દાસ બન્યા. તેમની અનન્ય સેવા કરી. કહેવાય છે કે તે આજે પણ એવા રામભકત છે કે જે લોકો રામનું નામ લે છે તેનો બેડો પાર કરે છે. તેમને ઉની આંચ આવતી નથી. તેઓ કળિયુગમાં પણ જીવિત છે. તો ચાલો આપણે જાણીએ તેમની સાથે જોડાયેલી એક રોચક કથા…
રામાયણ અનુસાર જ્યારે લંકામાં બહું તપાસ કર્યા પછી સીતા માતાનો પત્તો ન લાગ્યો ત્યારે હનુમાનજીને લાગ્યું કે તે જીવિત નથી. આમછતાં જેવું તેમને ભગવાન રામનું સ્મરણ થયું તો તેમણે પૂરી તાકાત સાથે સીતાની શોધ આરંભી દીધી. આખરે સીતા માતાને અશોક વાટિકામાંથી શોધી કાઢ્યા. એ સમયે માતાએ તેમને અમર થવાનું વરદાન આપ્યું.
તેથી હનુમાનજી દરેક યુગમાં પ્રવર્તમાન છે. તે રામભક્તોની રક્ષા અવશ્ય કરે છે. એ વાતનું પ્રમાણ હનુમાન ચાલીસાની એક ચોપાઈથી પણ મળી શકે છે. જેમાં હનુમાનજી વિશે કહેવાયું છે કે અષ્ટ સિદ્ધિ નૌ નવ નિધિ કે દાતા.. અસ વર દીન્હ જાનકી માતા… એટલે કે ભગવાનને દેવી સીતામાતા પાસેથી વરદાન મળ્યું છે. તે હનુમાનજી આઠ સિદ્ધિઓ અને નૌ નિધિઓના દાતા છે તેમની કૃપાથી વ્યક્તિ આર્થિક રીતે પણ સુખી થાય છે.
એક સમય એવો આવ્યો કે જ્યારે ભગવાન રામે તેઓ ક્યાં સુધી પૃથ્વી પર રહેશે અને ક્યારે પોતાના ધામમાં પાછા ફરશે તે વિશે જણાવી દીધું હતું. ત્યારે હનુમાનજીને એટલું બધું દુઃખ થયું કે તેઓ સીધા સીતા માતાની પાસે જઈને કહેવા લાગ્યા કે તમે મને અજર અમર થવાનું વરદાન આપ્યું છે. પણ મારા પ્રભુજ ધરતી પર નહિં રહે તો મારા અમર થવાનો શો ફાયદો… તમે આ વરદાનને પાછું લઈ લો….
થોડી જ વારમાં ત્યાં રામજી આવી પહોંચ્યા. તેમણે હનુમાનજીને પોતાના ગળે લગાડ્યા અને કહ્યું કે આ ધરતી પ જો પણ આવે છે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. પછી તે દેવ જ કેમ ન હોય. તમને તો આ વરદાન ખુદ દેવી સીતાએ આપ્યું છે. તેથી તમે ધરતી પર રહીને રામ નામ લેનારા લોકોનો બેડો પાર કરતાં રહેશો. અને ધરતી પર એક એવો સમય આવશે જ્યારે કોઈ દેવનો અવતાર ન હોય અને પાપીઓની સંખ્યા વધી જળે ત્યારે તમે ભક્તોનો ઉદ્ધાર કરશો.
ત્યારથી હનુમાનજી પોતાના અમર થવાના વરદાનને સમજી શક્યા. તેઓ રામજીની આજ્ઞાનું આજે પણ પાલન કરે છે. પૃથ્વી પર રામજીના ભક્તોનો બેડો પાર કરે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં ભગવાન રામનું નામ, રામ કથા કે રામાયણનો પાઠ કરવામાં આવે ત્યાં હનુમાનજી જરૂર હાજર થઈ જાય છે. તે કથા કરનાર અને શ્રવણ કરનારને આશીર્વાદ આપે છે.