ચૂપ
#માઇક્રોફિક્શન #ગુજરાતીવાર્તા #shortstory
બેહોશ હાલતમાં વાસંતીબા પથારીમાં પડ્યાં હતાં, આખો પરિવાર ચિંતામગ્ન ચહેરે તેમના પલંગની આસપાસ વીંટળાયો હતો.પતિ,દીકરો-વહુ, દીકરી-જમાઈ અને તેમના સંતાનો,વાસંતી બાનો હર્યોભર્યો પરિવાર હતો અને અત્યારે દરેક કુટુંબીજન બાના રૂમમાં ચિંતા સાથે ભેગા થઈ ગયા હતા. રૂમમાં અકળાવનારી શાંતિ હતી.અચાનક એ શાંતિને ચિરતો વાસંતી બાનો બડબડાટ સૌને ચોંકાવી ગયો. કોઈક ધીમે થી બોલ્યું"બાને સનેપાત ઉપડ્યો લાગે છે."સૌ સાંભળવાની કોશિશ કરવા લાગ્યા."ચૂપ...વાસંતી.. લો થ..ઈ ગ..ઈ ચૂપ... પણ મારું મ...ન મ ન ચીસો પા..ડે છે...કે'વુ છે.. મારે પણ ઘણું બધું કે'વુ છે...."ધીમા અવાજે બા જે તૂટક તૂટક વાક્યો બોલતા હતા તે સાંભળીને તેમની એકદમ નજીક ઉભેલા પપ્પાનો ચહેરો ફીક્કો પડવા માંડ્યો.પપ્પાને યાદ આવ્યા એ દિવસો કે જ્યારે વાસંતીબેન પરણી ને એમના ઘરમાં વહુ બનીને આવ્યા હતા.ઘર છે એટલે બે વાસણ ખખડે પણ ખરા પણ ઘરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તેમણે આંખો કાઢીને વાસંતીને ચૂપ રહેવાનો આદેશ આપ્યો હતો એ બધા જ પ્રસંગો યાદ આવ્યા,આ મારાથી શું થઈ ગયું? મને સહેજ પણ એહસાસ કેમ ન થયો કે એણે બોલવાનું સાવ ઓછું કરી નાખ્યું છે... બબડતાં બબડતાં પપ્પા આંખમાં આંસુ સાથે ધીમે ધીમે રૂમની બહાર નીકળી ગયા.બાનો વલોપાત વધ્યો,થોડા જોરથી ઊંડા શ્વાસ લેતા તેધીમા તૂટતાં અવાજે બબડતા હતાં "મમ્મી તું હવે બોલવાનું બંધ કર,જોયું માનસીને કેવું ખોટું લાગ્યું છે તે? માં નો બડબડાટ સાંભળી દીકરાને યાદ આવ્યું કે નાનપણ માં અડધી રાત્રે તેને ઊંઘ નહોતી આવતી ત્યારે તે માં ને ઊંઘમાંથી ઉઠાડીને વાત કરવાનું કહેતો અને મમ્મી તેની સાથે જુદા જુદા વિષય પર કેટલી બધી વાત કરતી, પણ એ દિવસે તેણે કહ્યું" મમ્મી તું હવે બોલવાનું બંધ કર"...પછી મમ્મી સાવ મૂંગી જ થઈ ગઈ હતી... ભાગ્યે જ તેની સાથે કોઈ વાત કરતી...ઓહ, મેં મારી મા સાથે કેટલો મોટો અન્યાય કર્યો,એમ કહેતા કહેતા દીકરો માની પથારી પાસે ફસડાઈ પડ્યો.એ જ હાલત દીકરીની હતી તેને યાદ આવ્યું કે નણંદની ઠેકડી ઉડાવતાં માં એ તેને રોકી તો ગુસ્સામાં તેણે માં સાથે બોલવાનુ જ બંધ કરી દીધું હતું.મમ્મી ફોન પર કેટલા કાલાવાલા કરતી પણ તેની રીસ ઉતરી જ નહીં.ઓહ મમ્મી હું તારી ગુનેગાર છું કહેતા તે ધ્રુસકે ચડી. માનસીની પણ એવી જ હાલત હતી.બધ્ધાનાં મન માં એક જ વાત હતી કે વાસંતીબા એ ઘરમાં શાંતિ જળવાય તે માટે કેટલી બધી વાતો પોતાના મનમાં ધરબી દીધી. કાશ એ ત્યારે બોલ્યા હોત અથવા અમે બોલવા દીધા હોત તો.. બધાનાં મન અશાંત હતાં અને તેમને એમ જ છોડીને વાસંતીબા ચીર શાંતિની આગોશમાં સમાઈ ગયા.
©શ્વેતલ પટેલ
સુરત