ક્યા રેવતી, તેરા શાદી કા આલ્બમમેં તેરે ચેહરે પે ઈતના ટેન્શન ક્યોં હૈ? એક ભી ફોટોમેં સ્માઈલ નહી હૈ .” રેવતી બે ઘડી શાંત રહી. નાનકડુ સ્મિત આપી પોતાના ઘરે આવેલી અને વર્ષો પછી કોલેજના રીયુનિયન બાદ મળેલી શ્રેયા સાથે પોતાના લગ્નનું આલ્બમ જોઈ રહી હતી.રેવતીએ શ્રેયાને કહ્યુ, “ તું પેહલે ચાય નાશ્તા કર લે બાદમેં બતાતી હું .”રેવતી અને શ્રેયાએ ચા-નાશ્તો કરી અલક મલકની- પોતાના કોલેજના રીયુનિયનની વાતો કરી.શ્રેયાએ રેવતીને કહ્યુ, “ અભી બતા, તું ક્યા કહેને વાલી થી?”રેવતીએ જુના દિવસો યાદ કરી કહેવા લાગી, “ શ્રેયા, આપણે કોલેજના છેલ્લા વર્ષ સુધી સંપર્કમાં હતાં પણ પછી તું વિદેશ ચાલી ગઈ. તને તો ખબર હતી કે હું મમ્મી-પપ્પાની વધારે પડતી નજીક હતી. પપ્પા તો મારા માટે હંમેશા પ્રેરણામૂર્તિ રહ્યા છે. મને ગવર્નમેંટ જોબ મળી ગઈ. પપ્પાને રિટાયર થવાને છ મહિના બાકી હતાં .મારા પહેલાં પગારની પાર્ટી મારા તરફથી મમ્મી-પપ્પાને એક મોટી હોટેલમાં આપી. પપ્પાએ બાકીનો પગાર સારા કાર્યમાં વાપરવાની સલાહ આપી. ડિનર લીધા પછી પપ્પાએ રેવતીને ન ગમતો વિષય કાઢ્યો. એના લગ્નનો. રેવતીએ સ્પષ્ટ કહ્યુ કે, હમણાં એક વર્ષ સુધી એ લગ્ન નહી કરે.ત્યારે પપ્પાએ કહ્યું , “ મારા ઓફિસના કલીગનો છોકરો શ્રીનિવાસ મને ખુબ પસંદ છે. મારી વાત પણ થઈ ગઈ છે. તારો ફોટો અને બાયો-ડેટા મેં એમને મોકલી આપ્યો છે. એલોકોને તું પસંદ છે. અને જો આ શ્રીનિવાસનો ફોટો અને બાયો-ડેટા. તને જો પસંદ હોય તો જ કરજે.” રેવતીને શ્રીનિવાસ ખુબ સોહામણો લાગ્યો. એના કરતાં દરેક બાબતમા શ્રીનિવાસ શ્રેષ્ઠ હતો. પણ રેવતીએ છ મહિના સુધી આ વાત કરવાની ના પાડી.લગભગ ૧૫ દિવસ પછી એક સવારે રેવતીના પપ્પાનું માથુ ખુબ દુખી રહ્યું હતું . ડોક્ટરની દવાથી એમને કઈ ફરક ન પડ્યો. એટલે 10 દિવસ પછી ન્યુરોલોજીસ્ટને બતાવ્યું . રિપોર્ટ કઢાવતા જાણે એક સુખી હસતા પરિવારમાં દુ:ખની શરુઆત થઈ. પપ્પાને બ્રેઈન ટ્યુમર ડિટેક્ટ થયુ.રેવતી અને મમ્મી ભાંગી પડ્યા . ડોક્ટરોએ જણાવી દીધું ,કે વધારેમા વધારે છ મહિના. રેવતી અને મમ્મી બંનેએ નક્કી કર્યુ ,પપ્પા જેટલા દિવસ છે -એમને ખુશ રાખવા. પપ્પાની ટ્રીટમેન્ટ ચાલુ થઈ. રેવતી અને પપ્પા બંનેએ લાંબી રજા મૂકી. પપ્પા ઘણાં ઘણાં મજબૂત મનોબળવાળા હતાં .થોડા દિવસ પછી પપ્પાએ રેવતીને કહ્યુ, “ રેવતીબેટા, મારી પાસે હવે ઘણો ઓછો સમય છે. તું શ્રીનિવાસ સાથે લગ્ન કરી લેશે તો મને આનંદ થશે .” રેવતીએ પપ્પાનો પડ્યો બોલ ઝીલી લીધો. એની અને શ્રીનિવાસની મુલાકાત નક્કી થઈ.રેવતીને શ્રીનિવાસ ખુબ સોહામણો, મદદરુપ, મળતાવડો અને નિખાલસ લાગ્યો. શ્રીનિવાસને પણ રેવતી ખુબ ગમી. એ દિવસે જ ગોળ-ધાણા લેવાયા. લગ્ન પણ આવતા મહિને નક્કી થયા.રેવતીને રોજ પપ્પાની ચિંતા રહેતી. પપ્પા સાથે વધારે નહિ રહી શકે એ વિચારથી એનુ મન ખિન્ન થઈ જતુ. એક તરફ શ્રીનિવાસ જેવો સમજદાર અને સોહામણો પતિ મળવાની ખુશી અને બીજી તરફ પોતાના પ્રાણથીયે અધિક પિતાને ગુમાવવાની વ્યથા. એ મિશ્ર લાગણીઓ અનુભવતી.રેવતી જોતી કે હવે પપ્પાને ઘણીવાર ચકકર આવતાં . શ્રીનિવાસને સગાઈ પછી રેવતી માંડ ચાર-પાંચ વાર મળી હશે. પોતાના લગ્ન સુધી પપ્પા રહેશે કે કેમ એ પ્રશ્ન એને સતાવતો. એને લગ્ન કરવાની ઈચ્છા પણ નહતી પણ પપ્પાની ખુશીને ખાતર એ માની ગઈ.રેવતીના પપ્પા એને કહેતાં , “ રેવતી, હું તારા લગ્ન જોઈને પછી જ મરીશ.” પપ્પાને ગજબનો આત્મવિશ્વાસ હતો. પણ રેવતીને પપ્પાની તબિયત કથળતી જોઈ ચિંતા રહેતી કે કદાચ પપ્પા લગ્ન નહી જોઈ શકે.લગ્ન હવે ખુબ નજીક હતા. ફક્ત 50 માણસોને જ આમંત્રણ હતું . બધી તૈયારી થઈ ગઈ. બે દિવસ પહેલા મહેંદી મૂકાઈ ગઈ. અચાનક રેવતીના પપ્પા બેભાન થઈ ગયા. રેવતી હવે ખરેખર ભાંગી પડી. ડોક્ટરોએ આ પરિસ્થિતિથી એલોકોને વાકેફ કર્યાં હતાં . રેવતી ખુબ રડી. એને ભગવાન પર ખુબ ગુસ્સો આવ્યો. એણે અને એમના સગાઓએ ખુબ સ્વસ્થતા જાળવી. બેએક કલાકમાં એના પપ્પા પાછા ભાનમાં આવી ગયા. અને બોલ્યા, “ મને રેવતીના લગ્ન પતે નહી ત્યાં સુધી કાંઈ જ થવાનું નથી. મેં મારા પરમેશ્વરને કહી રાખ્યું છે .”લગ્નના આગલા દિવસે બધાંએ ગીતો ગાયા.રેવતીના પપ્પા પણ ખુબ ખુશ હતા. રેવતી જોઈ રહી હતી કે પપ્પા ખુબ થાકેલા હોવા છતાં પણ સ્વસ્થ હોવાનો ડોળ કરે છે.લગ્નનો દિવસ આવી પહોચ્યો. સવારથી એના પપ્પાને બેચેની અને ચક્કર આવી રહ્યા હતાં . રેવતી પપ્પાને ભેટી ખુબ રડી. એ વધારે ગમગીન બની ગઈ.રેવતીના પપ્પા ખરેખર વીલપાવરથી જ જાણે જીવી રહ્યા હતાં . એમણે રેવતીને કહ્યું , “ રેવતી, હવે મને ખુબ સારુ લાગે છે. ચલ, હવે હું પણ તૈયાર થાઉં .” અને સાચેજ જાણે કે ચમત્કાર થયો -એ ખુબ સ્વસ્થ લાગ્યા.કુટુંબીજનોએ લગ્નના હોલમાં એક સોફા પર એમને શાંતિથી બેસાડી રાખ્યા. બે કલાકમાં નિર્વિઘ્ને બધુ સમુસુતરું પાર પડ્યું . શ્રીનિવાસ અને રેવતી પગે લાગ્યા. ત્યારે એના પપ્પા બોલ્યા, “ રેવતી, તું શ્રીનિવાસ સાથે લગ્ન કરીને ખુબ સુખી રહેશે.” એમણે શ્રીનિવાસ અને એના ઘરના લોકોનો આભાર માન્યો.રેવતીને વિદાય આપી. રેવતી સાસરે આવી. શ્રીનિવાસ અને એના માતાપિતાએ રેવતીને ખુબ આશ્વાસન અને પ્રેમ આપ્યો.રાત્રે બધાં સુવાની તૈયારી કરી રહયા હતાં ત્યારે રેવતીની મમ્મીનો ફોન આવ્યો, કે પપ્પાએ છેલ્લા શ્વાસ લીધા.રેવતીએ ખુબ સ્વસ્થતા કેળવી. શ્રીનિવાસ સાથે પોતાના પિતાને અંતિમ વિદાય આપવા પિયર આવી પહોચીં . પિતાને વંદન કરી બોલી , “ મને તમારા મનોબળ માટે ગર્વ છે. તમે તમારા વીલપાવરથી મારા લગ્ન પત્યા ત્યાં સુધી જીવ્યા અને સ્વસ્થ રીતે વિદાય આપી એ બદલ.....'શ્રેયાની આંખમાં ઝળઝળિયા આવી ગયા , કે દિકરીની વિદાય કરતાંયે પિતાની વિદાય ભારે હતી.