કાચી કેરીનું અથાણું-
મિત્રો, ઉનાળો ભલે અકળાવી નાખે એવી ગરમી આપે પણ એ પોતાની સાથે એટલાં સરસ ફળ અને ફૂલો લઈ આવે. એમાં પણ ભારતમાં મોટાભાગના લોકોને કેરી ખુબ જ ભાવે છે. કાચી કેરી અને પાકી કેરી બંને અનેરા સ્વાદ સાથે જમવાની મજા લાવી દે.
શું તમારા ઘરે અથાણું બને છે કે તમે બહારથી કોઈ પાસે બનાવડાવો છો. એવું હોય તો થોડા થોભી જાઓ અને વાંચી જાઓ ખુબ જ સરળ રીતે બનાવી શકાય એવું અથાણું.
આ અથાણું તમે રોજ રોટલા સાથે અથવા દાળભાત, કે રોટલી સાથે અથવા ખીચડી સાથે ખાશો તો તમને જમવાની મજા આવશે અથવા એનો ખાર એટલે કે સંભાર ખાખરા સાથે પણ મસ્ત લાગશે.
આમ પણ એક રિસર્ચમાં કહેવાયું છે કે, અથાણું એ શરીરમાં અમુક પ્રક્રિયામાં મદદરૂપ બને છે એટલે આપણાં વડવાઓ પણ રોજ ખાતા હતાં. અમુક ગૃહિણીઓના ઘરમાં તો વિવિધ પ્રકારના અથાણાં બનતાં હોય છે.
આ અથાણું અમારા દક્ષિણ ગુજરાતની દરેક બા, આજી બનાવતી. કાચી કેરીનું તીખું અથાણું જેને દક્ષિણ ગુજરાત માં અવજી કેરી પણ કહે છે એ લગભગ આખા વરસ દરમ્યાન રોજ ખાનારા લોકો પણ છે. એમાંની એક હું પણ. આખરે અથાણાં આપણી એક ભોજનની પરંપરામાં સમાયેલ છે. તો રેડી થઈ જાઓ.
ઘરમાં સાસુ જેવાં વડીલ હોય તો એમની શીખવવાની રીત પણ પ્રેક્ટિકલ હોય અને જાણવા પણ મળે જેમકે અથાણાં માટે મીઠું જાડું લઈ એને શેકી મિક્સર માં વાટી બારીક કરવું એનાથી અથાણું ટકી રહે છે.તો પ્રસ્તુત છે સ્વ. સાસુજી ઉર્મિલાબેન દ્વારા અથાણાંની રીત:-
એક કિલો દેશી લાડવા [આ દેશી લાડવા કેરી આકારમાં થોડીક લાડવા જેવી હોય છે.]કેરીના ટુકડા ધોઈ સાફ કરી એમાં 3-4 ચમચી હળદર અને એક ચમચો મીઠું નાખી 3 કલાક રાખવું. એમાંથી પાણી છૂટું પડે એટલે કટકા એક કપડું પાથરી 3 કલાક કોરા કરવા અને સૂકવવા દેવા. એ દરમિયાન 500 ગ્રામ આખુ મીઠું શેકી ઠંડુ કરી બારીક પીસી લેવું. પછી 50 ગ્રામ રાઈના કુરિયા, 500 ગ્રામ મેથી કુરિયા, અને એક ચમચો અથાણાંની હિંગ લેવી અને એક ચમચો તેલ લઈ ગરમ કરી એમાં નાખવું અને આ મિશ્રણને ઢાંકી દેવું. ત્યારબાદ 1 ચમચો હદર, 500 ગ્રામ કાશ્મીરી મરચા પાવડર અને અને મેથી કુરિયા વાળું મિશ્રણ અને મીઠું બરાબર મિક્સ કરવું. એમાં કેરીના કોરા કરેલા કટકા મિક્સ કરવા.પછી 500 ગ્રામ તેલ ગરમ કરી ઠંડુ કરેલ એમાં નાખી દેવુ. અને વ્યવસ્થિત મિક્સ કરી કાચની બરણીમાં જે વ્યવસ્થિત ધોઈ તડકે સુકવી કોરી કરી હોય એમાં ભરી દેવું. એક બે દિવસ પછી પાછું (લગભગ 500 ગ્રામ કરતાં થોડું વધારે) તેલ ગરમ કરી ઠંડુ કરી બરણીમાં અથાણું ડૂબે એ રીતે નાંખવું. બરણીના ઢાંકણને રૂમાલ ઢાંકી દોરી અથવા નાળાથી એકદમ ફિટ બંધ કરવું એટલે હવા ન લાગે અને જયારે અથાણું જોઈએ ત્યારે ચમચો કોરો લેવો અને પછી જ કાઢવું. આટલી કાળજી લેશો તો અથાણાં ને ક્યારેય ફૂગ નહિ લાગે. તૈયાર છે તમારા માટે સુપર ટેસ્ટી અથાણું.
આ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે,
1) સીંગતેલ અથવા તલનું તેલ લઈ શકાય.
2)ચૈત્ર મહિનામાં અથવા વૈશાખ મહિનાની શરૂઆત થાય ત્યારે અથાણું બનાવીએ તો સૌથી ઉત્તમ.
3) બધાં મસાલા તાજા લેવા. તેલ હંમેશા ઠંડુ કર્યા પછી જ એમાં રેડવું. હા વધાર વખતે થોડું ગરમ તેલ લઈ શકાય.
4) અથાણાં માટે special હિંગ લેવી એનાથી અથાણું ખુબ જ સ્વાદિષ્ટ બને છે.
5)અથાણાં માટે તમે કાશ્મીરી લાલ મરચાં અને તીખાશ ધરાવતું રેશમપટ્ટી પણ થોડું લઈ શકો એટલેકે બંનેનું પ્રમાણ તમને જોઈતી તીખાશ પ્રમાણે લેવું.