GEETA - QUESTION IS YOUR ANSWES'S BY SHRI KRISHNA - 5 in Gujarati Spiritual Stories by Hardik Galiya books and stories PDF | ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 5

Featured Books
Categories
Share

ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 5

હાર્દિક: નમસ્કાર મિત્રો! કેમ છો? સ્વાગત છે તમારા આત્માને જગાડતા અને મનને શાંત કરતા પોડકાસ્ટ ‘ગીતા: સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના’ માં. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત, હાર્દિક.

મિત્રો, આજનો એપિસોડ શરૂ કરતા પહેલા મારે તમને એક સવાલ પૂછવો છે. તમારી લાઈફમાં સૌથી મોટો દુશ્મન કોણ?
પડોશી? બોસ? પાકિસ્તાન? કે મોંઘવારી?

જો હું એમ કહું કે તમારો સૌથી મોટો દુશ્મન તમારી સાથે જ સૂવે છે, તમારી સાથે જ જમે છે અને તમારી સાથે જ ઓફિસ આવે છે... તો?

હા મિત્રો, એ છે - આપણું ‘મન’.

ક્યારેક મને થાય છે કે મારું મન એક એવું ‘ટીવી’ છે જેના ચેનલનું રિમોટ ખોવાઈ ગયું છે. ચેનલો આપોઆપ બદલાયા જ કરે છે! ક્યારેક ભક્તિ સંગીત વાગે, તો અચાનક આઈટમ સોંગ વાગવા માંડે! ક્યારેક સારા વિચારો આવે, તો ક્યારેક એવા ખરાબ વિચારો આવે કે આપણને આપણી જાત પર શરમ આવે. આપણે વિચારીએ કે "અરે! હું આવું ગંદુ કેવી રીતે વિચારી શકું?"
તો શું આ મન આપણું છે કે બીજા કોઈનું? આને શાંત કેમ કરવું? શું હિમાલય જવું પડશે કે મુંબઈની લોકલમાં પણ મન શાંત રહી શકે?

ચાલો, આ ગૂંચવણ ઉકેલવા જઈએ આપણા જ્ઞાની ગુરુ, જેમના ચહેરા પર હંમેશા શાંતિ હોય છે... શાસ્ત્રીજી, પ્રણામ!

શાસ્ત્રીજી: કલ્યાણમસ્તુ હાર્દિક! જય શ્રી કૃષ્ણ અને સૌ વાંચક  મિત્રોને મારા વંદન.

હાર્દિક: શાસ્ત્રીજી, આજે મારે સીધી અને સટ વાત કરવી છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મન કાબૂમાં હોવું જોઈએ. પણ મારું મન તો પેલા ‘કસ્તુરી મૃગ’ (હરણ) જેવું છે. એ સુખ શોધવા માટે જંગલમાં અહીં-તહીં દોડ્યા જ કરે છે. કસ્તુરી (સુગંધ) એની પોતાની નાભિમાં છે, પણ એ બહાર ફાંફા મારે છે. મને શાંતિ મળતી જ નથી. આનું કારણ શું? મન આવું કેમ છે?

શાસ્ત્રીજી: હાર્દિક, તારું ‘કસ્તુરી મૃગ’નું ઉદાહરણ એકદમ સચોટ છે. આજનો માણસ સુખ શોધવા માટે મોલ  માં જાય છે, થિયેટરમાં જાય છે, પણ અંદર નથી જોતો.
આ મન અશાંત છે કારણ કે એને એનું સાચું ‘ઘર’ નથી મળ્યું.
જો આપણે થોડું આધ્યાત્મિક રીતે સમજીએ. આપણા કઠોપનિષદમાં અને ગીતામાં પણ એક બહુ સુંદર ‘રથ’  નું ઉદાહરણ છે. જો તમે આ ઉદાહરણ સમજી ગયા, તો આખી જિંદગીનું મેનેજમેન્ટ સમજાઈ જશે.

કલ્પના કર હાર્દિક, કે આ માનવ શરીર એક રથ છે.
આ રથમાં બેઠેલો માલિક કોણ છે? = આત્મા.
રથનો સારથી કોણ છે? = બુદ્ધિ .
સારથીના હાથમાં રહેલી લગામ શું છે? = મન.
અને રથને ખેંચતા પાંચ ઘોડા કોણ છે? = ઇન્દ્રિયો (આંખ, કાન, નાક, જીભ, ત્વચા).
હવે આજના જમાનામાં પ્રોબ્લેમ ક્યાં થયો છે ખબર છે?

હાર્દિક: ક્યાં?

શાસ્ત્રીજી: માલિક (આત્મા) પાછળ સીટ પર ઘોર નિદ્રામાં સૂઈ ગયો છે. સારથી (બુદ્ધિ) દારૂ પીને (અજ્ઞાનમાં) ચકચૂર છે. અને લગામ (મન) એકદમ ઢીલી પડી ગઈ છે.
હવે વિચાર કર, જો ડ્રાઈવર ભાનમાં ના હોય અને લગામ ઢીલી હોય, તો પેલા પાંચ ઘોડા (ઇન્દ્રિયો) શું કરે?

હાર્દિક: એ તો તોફાન મચાવે ને! જે ઘોડાને જે રસ્તે જવું હોય ત્યાં ખેંચી જાય.

શાસ્ત્રીજી: બિલકુલ! આંખ નામનો ઘોડો કહેશે "ચાલ, પેલું દ્રશ્ય જોઈએ", જીભ નામનો ઘોડો કહેશે "ચાલ, પીઝા ખાઈએ".
એટલે રથ ગમે ત્યાં ઘસડાય છે - ક્યારેક ખાડામાં (દુઃખમાં), ક્યારેક કાંટામાં (મુસીબતમાં).
જ્યાં સુધી સારથી (બુદ્ધિ) જાગે નહીં અને લગામ (મન) કસીને ન પકડે, ત્યાં સુધી રથ (જીવન) ભટકતું જ રહેશે. ગીતાનો છઠ્ઠો અધ્યાય એટલે સારથીને જગાડવાનો એલાર્મ.

હાર્દિક: ઓહ! એટલે કે અત્યારે મારા રથનું ડ્રાઈવિંગ પેલા ગાંડા ઘોડાઓ કરી રહ્યા છે? એટલે જ મારો એક્સિડન્ટ થયા કરે છે!
પણ શાસ્ત્રીજી, ગીતામાં અર્જુનની શું હાલત હતી? શું એ પણ મારાજેવો જ કન્ફ્યુઝ હતો?

શાસ્ત્રીજી: હા. અર્જુન તો મહાન યોદ્ધા હતો, પણ મન સામે એ પણ હારી ગયો હતો. ગીતાના છઠ્ઠા અધ્યાયના ૩૪મા શ્લોકમાં અર્જુન કૃષ્ણને એક ફરિયાદ કરે છે:

"ચંચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલવદ્દૃઢમ્ |"
(હે કૃષ્ણ! આ મન બહુ ચંચળ છે, જીદ્દી છે, બળવાન છે અને શરીરમાં તોફાન મચાવનારું છે).

અર્જુન કહે છે: "હે કૃષ્ણ, આકાશમાં વહેતા વાયરાને હું મુઠ્ઠીમાં પકડી શકું, પણ આ મનને પકડવું તો એના કરતા પણ અઘરું છે."

હાર્દિક: વાહ! જો અર્જુન જેવો માણસ પણ આવું કહેતો હોય, તો મારે ગભરાવાની જરૂર નથી. પણ શાસ્ત્રીજી, એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ પૂછું?
જ્યારે હું ધ્યાન કરવા બેસું, ત્યારે જ મને દુનિયાભરના વિચારો આવે. "ગેસ બંધ કર્યો કે નહીં?", "કાલે બોસ શું કહેશે?", "પેલા ભાઈબંધે મને મેસેજ કેમ ના કર્યો?".
જ્યારે હું પિક્ચર જોતો હોવ ત્યારે વિચારો નથી આવતા, પણ ભગવાનનું નામ લઉં ત્યારે જ મન કેમ ભાગે છે?

શાસ્ત્રીજી: (હસીને) આ બહુ સામાન્ય છે હાર્દિક.
કારણ કે મનનો સ્વભાવ છે - ‘સંકલ્પ અને વિકલ્પ’.
મન એક ‘પેન્ડ્યુલમ’ (લોલક) જેવું છે. ઘડિયાળનું લોલક જોયું છે? એ ક્યાં જાય?
હાર્દિક: ડાબી બાજુ અને જમણી બાજુ.

શાસ્ત્રીજી: બસ! આપણું મન પણ કાં તો ‘ભૂતકાળ’ (Past) માં જાય છે - જ્યાં અફસોસ છે ("મેં આવું કેમ કર્યું?").
અથવા ‘ભવિષ્ય’ (Future) માં જાય છે - જ્યાં ચિંતા છે ("કાલે શું થશે?").
મન ક્યારેય ‘વર્તમાન’ (Present) માં, એટલે કે વચ્ચે સ્થિર રહેતું નથી.
અને ઈશ્વર ક્યાં છે? વર્તમાનમાં.
ધ્યાનનો અર્થ જ છે - પેન્ડ્યુલમને વચ્ચે (વર્તમાનમાં) સ્થિર કરવું.
એક આધ્યાત્મિક ઉદાહરણ આપું: ‘તળાવ અને પ્રતિબિંબ’.
જો એક તળાવ છે. એનું પાણી હલે છે (તરંગો છે), અને પાણીમાં કાદવ છે. તો શું તને તળાવના તળિયે પડેલો હીરો દેખાશે?

હાર્દિક: ના દેખાય ને! પાણી ડોહળું હોય અને હલતું હોય તો નીચે શું છે એ ખબર જ ના પડે.

શાસ્ત્રીજી: બસ! તારો આત્મા એ હીરો છે. અને તારું મન એ તળાવનું પાણી છે.
અત્યારે તારા મનમાં ‘વિષયો કે ઈચ્છા’ (Worldly Desires) નો કાદવ છે અને ‘વિચારો’ ના તરંગો (Waves) છે. એટલે તને તારી અંદર રહેલો ઈશ્વર દેખાતો નથી.
તારે બહાર ક્યાંય જવાની જરૂર નથી. જ્યારે મન શાંત થાય (તરંગો શમે) અને શુદ્ધ થાય (કાદવ નીચે બેસે), ત્યારે જ આત્માનું દર્શન થાય. આને જ ‘યોગ’ કહેવાય. યોગ એટલે જોડાવું - મનનું આત્મા સાથે જોડાવું.

હાર્દિક: વાહ! શું વાત કરી! એટલે કે ભગવાન ક્યાંય બહાર નથી, બસ મારે મારું પાણી શાંત કરવાનું છે.
પણ આ તોફાની પાણીને શાંત કેમ કરવું? કૃષ્ણએ કોઈ રસ્તો બતાવ્યો છે? કે ખાલી પ્રોબ્લેમ જ કહ્યો છે?
શાસ્ત્રીજી: કૃષ્ણ જગદગુરુ છે હાર્દિક, એ સોલ્યુશન વગર વાત પૂરી ના કરે.
ભગવાન બે દિવ્ય હથિયાર આપે છે મનને જીતવા માટે: ૧. અભ્યાસ અને ૨. વૈરાગ્ય.

૧. અભ્યાસ (Practice):
આને આપણે ‘તોફાની બાળક’ ના ઉદાહરણથી સમજીએ.
ધારો કે તારી ઘરે નાનું બાળક છે. તું એને ભણવા બેસાડે છે. એનું ધ્યાન રમકડાંમાં જાય છે અને એ ચોપડી મૂકીને ભાગી જાય છે. તું શું કરે? લાફો મારે?

હાર્દિક: ના રે! લાફો મારું તો રડવા માંડે અને ભણે જ નહીં. હું એને પટાવીને પાછો લાવું.

શાસ્ત્રીજી: એ ફરી ભાગે તો?

હાર્દિક: તો ફરી પકડી લાવું.

શાસ્ત્રીજી: ૧૦ વાર ભાગે તો?

હાર્દિક: તો ૧૦ વાર પકડી લાવું, બીજો રસ્તો શું?

શાસ્ત્રીજી: બસ, મન સાથે આ જ કરવાનું છે! આને જ ‘અભ્યાસ’ કહેવાય.

કૃષ્ણ કહે છે: "યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમસ્થિરમ્..."
મતલબ: આ મન જ્યાં જ્યાં ભાગે, ત્યાં ત્યાંથી તેને પકડીને પાછું આત્મામાં (કામમાં) લગાડવું.
જ્યારે તું કામ કરવા બેસે અને મન મોબાઈલ તરફ જાય, તરત તારે મનને કહેવાનું - "એય! ક્યાં ભાગ્યો? ચાલ પાછો આવ." ગુસ્સાથી નહીં, પ્રેમથી.
જેમ જીમમાં ડમ્બેલ્સ ઉપાડવાનો અભ્યાસ કરવાથી મસલ્સ બને, એમ મનને પાછું લાવવાનો અભ્યાસ કરવાથી ‘ફોકસ’ બને.

૨. વૈરાગ્ય (Detachment):
આ શબ્દ સાંભળીને લોકો ગભરાઈ જાય છે. એમને એમ કે ઘર-બાર છોડી દેવાનું.
પણ ના, વૈરાગ્ય એટલે ‘સમજણ’.

હાર્દિક, રણમાં હરણને પાણી દેખાય (મૃગજળ), એ દોડે છે પણ પાણી મળતું નથી. એ થાકીને મરી જાય છે.
આપણું મન પણ સંસારના સુખો પાછળ દોડે છે - "આ નવી ગાડી લઈ લઉં તો સુખ મળશે", "પ્રમોશન મળી જાય તો શાંતિ મળશે", "આ છોકરી સાથે લગ્ન થઈ જાય તો લાઈફ સેટ".
વસ્તુ મળી જાય છે, પણ સુખ મળતું નથી. ઉલટું ટેન્શન વધે છે.
વૈરાગ્ય એટલે એ સમજણ કે - "આ બહારનું સુખ તો મૃગજળ છે. ગાડી સુખ નથી આપતી, ગાડીમાં બેસનારું મન સુખી હોય તો મજા આવે."
જ્યારે મનને સમજાય કે રમકડાંમાં કાયમી સુખ નથી, ત્યારે એ આપોઆપ રમકડાં છોડી દે છે. આનું નામ વૈરાગ્ય.

હાર્દિક: શાસ્ત્રીજી, આ વૈરાગ્યની વ્યાખ્યા તમે બહુ સરળ કરી આપી. આપણે આખી જિંદગી પેલા મૃગજળ પાછળ દોડીએ છીએ અને છેલ્લે તરસ્યા મરીએ છીએ.
પણ શાસ્ત્રીજી, એક બીજો સવાલ છે જે શ્રોતાઓ તરફથી બહુ આવે છે.
ઘણા લોકો કહે છે: "અમારે મન શાંત કરવું છે, પણ લાઈફસ્ટાઈલ એવી છે કે થતું નથી. રાત્રે મોડા સુધી જાગવું પડે, બહારનું ખાવું પડે."
તો શું ખાવા-પીવાની અસર મન પર થાય?

શાસ્ત્રીજી: ૧૦૦ ટકા!
ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કૃષ્ણ ‘ડાયેટિશિયન’ બની જાય છે. એ કહે છે:
"યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ..."
જો તમે ઠાંસી-ઠાંસીને ખાશો, તો આળસ આવશે અને ઊંઘ આવશે. ધ્યાન નહીં થાય.
જો તમે ભૂખ્યા રહેશો, તો ચીડિયાપણું આવશે. મન ગુસ્સે થશે.
જો તમે બહુ ઊંઘશો તો તામસી બનશો, અને બહુ જાગશો તો મગજ ગરમ રહેશે.
કૃષ્ણ કહે છે: ‘બેલેન્સ’ (Balance).
જેનું ખાવું, પીવું, ઊંઘવું અને જાગવું માપસરનું છે, એનું જ મન કાબૂમાં રહે છે.
જેમ મસાલેદાર અને તીખું ખાવાથી પેટમાં બળતરા થાય, એમ એવા ખોરાકથી મનમાં પણ ‘વિચારોની બળતરા’ થાય છે. એટલે સાત્વિક ખોરાક બહુ જરૂરી છે. "જેવું અન્ન, તેવું મન."

હાર્દિક: ઓહ! એટલે મારે મારા લેટ નાઈટ પીઝા અને ઉજાગરા બંધ કરવા પડશે એમને?
સાહેબ, તમે તો આજે ચારે બાજુથી ઘેરી લીધા!
તો જેનું મન કાબૂમાં આવી જાય, એ માણસ કેવો દેખાય? એની સ્થિતિ કેવી હોય?

શાસ્ત્રીજી: એનું વર્ણન સાંભળીને તને ઈર્ષ્યા આવશે હાર્દિક.
કૃષ્ણએ બહુ સુંદર ઉપમા આપી છે: ‘નિર્વાત દીપ’ (A Lamp in a Windless Place).
કલ્પના કર... એક બંધ ઓરડો છે. બારી-બારણાં બંધ છે. પવન જરા પણ નથી.
ત્યાં એક ઘીનો દીવો સળગે છે.
એની જ્યોત કેવી હોય?

હાર્દિક: એકદમ સીધી! જરાય હાલક-ડોલક ના થાય.
શાસ્ત્રીજી: બસ! યોગીનું મન આવું હોય છે.
બહાર દુનિયામાં ગમે તેટલા તોફાન હોય - બોસ ખખડાવે, ધંધામાં ખોટ જાય, કોઈ અપમાન કરે કે શરીરમાં બીમારી આવે.
સામાન્ય માણસનું મન હાલક-ડોલક થઈ જાય, એ રડવા માંડે કે ગુસ્સે થઈ જાય.
પણ જેનું મન કૃષ્ણમાં જોડાયેલું છે, એના મનની જ્યોત હાલતી નથી. એ સતત સ્થિર અને શાંત રહે છે. આ છે ‘સ્થિતપ્રજ્ઞ’ અવસ્થા.

હાર્દિક: દીવાની જ્યોત... કેટલું સુંદર દ્રશ્ય છે! સાહેબ, મારે પણ મારી જ્યોતને આવી સ્થિર કરવી છે. પણ હું તો સામાન્ય માણસ છું, હિમાલય તો જઈ શકતો નથી. તો હું ઘરે રહીને શું કરું?

શાસ્ત્રીજી: હાર્દિક, હિમાલય જવાની જરૂર નથી. તારું શરીર જ તારી ગુફા છે અને તારું ઘર જ તારું આશ્રમ છે.
આજનો સાર એટલો જ છે:
૧. તું શરીરરૂપી રથનો માલિક છે, મન તો ખાલી લગામ છે. લગામ ઘોડાના હાથમાં ના જવા દે. ડ્રાઈવર (બુદ્ધિ) ને જગાડ.
૨. મનને દબાવવાનું નથી, પણ એને દિશા આપવાની છે - સંસારથી ઈશ્વર તરફ.
૩. બહારના સુખ મૃગજળ જેવા છે, સાચો આનંદ શાંત સરોવર જેવા મનમાં છે.

હાર્દિક: શાસ્ત્રીજી, વાતો તો બહુ અદ્ભુત કરી. પણ અમારા શ્રોતાઓને કોઈ ‘હોમવર્ક’ તો આપવું પડશે ને?
આ અઠવાડિયે અમારે પ્રેક્ટિસ શું કરવાની? કોઈ સિમ્પલ ટેકનિક આપો.

શાસ્ત્રીજી: ચોક્કસ. આજે હું એક ‘ત્રાટક’ (Focus) જેવી ક્રિયા આપું છું, પણ ભક્તિના રંગ સાથે.
આજનું હોમવર્ક છે: "સાક્ષી ભાવ (Witness Attitude)".
એક્સરસાઇઝ:
રોજ રાત્રે સૂતા પહેલા ૫ મિનિટ પથારીમાં બેસો. લાઈટ બંધ કરો. આંખો બંધ કરો.
હવે તમારા દિવસભરના વિચારોને એક ‘પિક્ચર’  ની જેમ જુઓ.
જાણે તમે થિયેટરમાં છેલ્લી સીટ પર બેઠા છો અને સામે પડદા પર તમારી જિંદગી ચાલી રહી છે.
તમારે એમાં હીરો નથી બનવાનું, ખાલી ‘પ્રેક્ષક’ બનવાનું છે.

વિચારો આવશે: "આજે પેલા પર ગુસ્સો આવ્યો." -> ખાલી જુઓ. એમાં ફરી ગુસ્સે ના થાવ.

"આજે જમવામાં મજા આવી." -> ખાલી જુઓ.

તમે જોશો કે તમે વિચારોથી અલગ છો. વિચારો આવે છે અને જાય છે, પણ તમે (આત્મા) ત્યાં જ છો.

અને છેલ્લે ૫ મિનિટ પછી, મનને એક પ્રેમભર્યો આદેશ આપો:
"હે મન, આ બધું નાટક પૂરું. હવે હું (આત્મા) અને મારા કૃષ્ણ (પરમાત્મા). બસ આપણે બે જ."
આ વિચાર સાથે ઊંઘી જાવ. તમને જે ઊંઘ આવશે, એવી ઊંઘ ગોળી લેવાથી પણ નહીં આવે.

હાર્દિક: "હવે હું અને મારા કૃષ્ણ..." આ વાક્યમાં જ કેટલી શાંતિ છે!
સાહેબ, તમે તો આજે મનનું ઓપરેશન કરીને એમાંથી કચરો કાઢી નાખ્યો.
મિત્રો, મન ભલે વાંદરા જેવું હોય, પણ જો એને ભક્તિની અને અભ્યાસની સાંકળથી બાંધી દઈએ, તો એ હનુમાનજી જેવું સેવક પણ બની શકે છે! અને સેવક બનેલું મન તમને રામ (ઈશ્વર) સુધી લઈ જઈ શકે છે.

શાસ્ત્રીજી, આવતા એપિસોડમાં આપણે શું જોવાના છીએ?

કારણ કે મન શાંત તો થઈ ગયું, પણ હવે દિલમાં કંઈક થાય છે.
શાસ્ત્રીજી: (હસીને) હવે આપણે મનથી આગળ વધીને ‘હૃદય’ની વાત કરીશું.
આવતો એપિસોડ છે - ભક્તિયોગ.
જે લોકો કહે છે કે "અમને ધ્યાન કરતા નથી આવડતું, અમને જ્ઞાન સમજ નથી પડતી", એમના માટે સૌથી સહેલો અને મીઠો રસ્તો કયો?

પ્રેમનો રસ્તો! ઈશ્વરને પ્રેમ કેમ કરવો? એ આપણે જોઈશું.
હાર્દિક: વાહ! તો આવતો એપિસોડ તો ‘લવ સ્ટોરી’ જેવો હશે.
ત્યાં સુધી, તમારા મનના દીવાની જ્યોતને સાચવજો. વિચારોના તોફાનમાં એ ઓલવાઈ ના જાય એનું ધ્યાન રાખજો.
હસતા રહો, મનને કાબૂમાં રાખતા રહો અને પ્રેમથી બોલો...
જય શ્રી કૃષ્ણ!

શાસ્ત્રીજી: જય શ્રી કૃષ્ણ!