જાણો છો કેમ હિંદુ ધર્મમાં દરેક મંત્ર શરૂ થાય છે ૐથી
કહેવાય છે કે જો કોઈ મંત્રનું ૐ બોલ્યા વગર ઉચ્ચરણ કરવામાં આવે તો તે મંત્ર ફળતો નથી. હિંદુ ધર્મમાં તો એ પરંપરા છે કે મંત્રની શરૂઆતમાં ૐ બોલવું. કેમ છે આટલું બધું ૐનું મહત્વ, જાણો છો. ૐનું સૌથી વિશેષ મહત્વ છે કારણકે તે પ્રણવ મંત્ર છે. એટલે કે સૃષ્ટિના સર્જન સાથે તેનો સંબંધ છે. પ્રણવ એટલે શું? પ્રણવ મંત્રમાં અ+ઉ+મનો સંયોગ છે. અ એ ઉત્પતિ દર્શાવે છે. ઉએ પાલન દર્શાવે છે. અને મ એ સંહાર દર્શાવે છે. જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ત્યારે સૌથી પહેલાં જે સ્વર સંભળાયો જેને આપણે નાદ કહીએ છીએ તે ૐ હતો. જો ક્યારેક દરિયા કિનારે કે કોઈ પર્વતની ટોચે એકાંતમાં બેસવાનું થાય તો તમે દરિયાનો મોજાનો અફળાતો અવાજ ધ્યાનથી સાંભળજો. કે પછી પર્વત પર ફર ફર વહેતાં પવનને ધ્યાનથી સાંભળજો. તમને તેમાં ૐનું ઉચ્ચરણ સાંભળવા મળશે.
કહેવાય છે કે ૐ એ પરમાત્મ સ્વરૂપ છે. જ્યારે ધ્યાનની ઉચ્ચ કક્ષાએ અનેક લોકોને આત્મસાક્ષાત્કાર થાય છે ત્યારે તેઓને પણ દિવ્ય ૐના દર્શન થાય છે. આ સૃષ્ટિના કણેકણમાં ૐ સમાયેલો છે. એ સતતપણે નિરંતર આ સૃષ્ટિમાં પ્રસરતો વહેતો રહે છે.
ૐમાં એ અ ઉ મ છે તે તેનો સંબંધ આ સૃષ્ટિના સર્જનહાર સાથે છે. તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સમાહિત છે. આ સૃષ્ટિની શક્તિ જ ૐ છે.આ ત્રિદેવ પણ ૐમાંથી જ ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. આ સૃષ્ટિ પણ ૐમાંથી ઉત્પન્ન થઈ છે અને ૐમાં જ લઈ પામશે.
જ્યારે સાધનાના ઉચ્ચ શિખરે વ્યક્તિ ધ્યાન મગ્ન થઈ જાય છે ત્યારે તેની એકાગ્રતામાં આ ૐનું ઉચ્ચરણ સુધારો કરે છે. ૐ એ સૃષ્ટિને બેલેન્સ કરે છે. નિતાંત શુદ્ધ કરે છે. તમારા આત્મામાં થતો પશ્ચાતાપ પણ ૐનું જ ફળ હોય છે. ૐ જ્યારે તમારા આંતરિક શરીરમાં આંદોલન શરૂ કરે ત્યારે તમને વધું ને વધું સાત્વિક, સત્વગુણી બનાવે છે. જ્યાં સુધી તમારી એ સફર શરૂ થઈને પૂર્ણ થતી નથી ત્યાં સુધી એ તમને બેસવા દેશે નહિં.
માટે જ ૐ એ પરમાત્મ સ્વરૂપ છે દિવ્ય શક્તિ સ્વરૂપ છે. જ્યારે કોઈ મંત્રની આગળ ૐ બોલવામાં આવે ત્યારે તે ઝડપથી ફળે છે. તેથી જ દરેક મંત્રોની આગળ પણ ૐનો ઉચ્ચાર કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં ૐ બોલતી વખતે શ્વાસને રોકવા વિશે કહ્યું છે. જેટલો વધું શ્વાસ રોકીને આ મંત્ર લંબાણપૂર્વક બોલી શકો તેટલું તે વધું સારું ગણાવ્યું છે. જેટલો શ્વાસ રોકી શકો તેટલું તમારા આયુષ્યમાં વધારો થાય છે. કારણ કે માનવીનું જીવન કેટલાંક શ્વાસ પર નિર્ભર હોય છે. તમે જીવન પર્યંત કેટલાં શ્વાસ લઈ શકશો તે નિશ્ચિત હોય છે. તેથી જ ઋષિ મુનિઓ ઉંડા શ્વાસો લઈને અને શ્વાસને રોકીને ૐ ધ્વનિ સાથે પ્રાણાયામ કરવાનું સૂચન કરે છે. પ્રાણાયામ કરવાથી તમારા શ્વાસની ઝડપમાં ઘટાડો થાય છે. તમારા આયુષ્યમાં વધારો થાય છે.