Why Lord Brahma Have Only One Temple
માનવ સૃષ્ટિના સર્જક છે છતાં માત્ર આ 1 મંદિરમાં જ બ્રહ્માની પૂજા કેમ ?
હિન્દુઓમાં ત્રણ મુખ્ય દેવ માનવામાં આવ્યાં છે- બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા આ સૃષ્ટિના નિર્માતા છે, વિષ્ણુ પાલનહર્તા અને મહેશ સંહારક છે, પરંતુ આપણાં દેશમાં જ્યાં વિષ્ણુ અને મહેશના અગણિત મંદિરો છે ત્યારે પોતાની જ પત્નીના શ્રાપના લીધે બ્રહ્માજીનું આખા ભારતમાં માત્ર એક જ મંદિર છે, જે રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થ પુષ્કરમાં સ્થિત છે. શા માટે આપ્યો સાવિત્રીએ પોતાના જ પતિને શ્રાપ, તેનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં મળે છે.
કેવી રીતે પડ્યું પુષ્કર નામ ?
હિન્દુ ધર્મગ્રંથ પદ્મ પુરાણ મુજબ એક સમયે ધરતી પર વ્રજનાશ નામના રાક્ષસે આતંક મચાવી મૂક્યો હતો. તેના વધતા આતંકથી ત્રાસીને બ્રહ્માજીએ તેનો વધ કરી નાખ્યો, પરંતુ વધ કરતી વખતે તેમના હાથમાંથી ત્રણ જગ્યાએ કમળનું ફૂલ પડ્યું, આ ત્રણેય જગ્યાઓ પર ત્રણ સરોવરો બની ગયા. આ ઘટના પછી આ સ્થાનનું નામ પુષ્કર પડ્યું. આ ઘટના પછી બ્રહ્માએ સંસારના કલ્યાણ માટે અહીં એક યજ્ઞ કરવાનો નિર્ણય લીધો.
પત્ની સાવિત્રીએ શા માટે આપ્યો બ્રહ્માજીને શ્રાપ
બ્રહ્માજી યજ્ઞ કરવા માટે પુષ્કર પહોચ્યાં, પરંતુ કોઈ કારણવશ સાવિત્રીજી સમયસર ન પહોંચી શક્યા. યજ્ઞ પૂર્ણ કરવા માટે બ્રહ્માજીની સાથે તેમના પત્નીનું હોવું ખૂબ જરૂરી હતું પરંતુ સાવિત્રીદેવી સમયસર ન પહોચવાને લીધે તેમણે ગુર્જર સમુદાયની એક ગાયત્રી નામની કન્યા સાથે લગ્ન કરી આ યજ્ઞ શરૂ કર્યો. આ દરમિયાન દેવી સાવિત્રી ત્યાં પહોચી ગયા અને બ્રહ્માની બાજુમાં બીજી કન્યાને તેમની સાથે યજ્ઞ કરતા જોઈ ગુસ્સે થઈ ગયા. તેમણે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે દેવતા હોવા છતા ક્યારેય તેમની પૂજા કરવામાં નહીં આવે. સાવિત્રીના આ શ્રાપને સાંભળીને બધા જ દેવતાઓ ડરી ગયા. તેમણે સાવિત્રીથી વિનંતી કરી કે તેઓ પોતાનો શ્રાપ પાછો લઈ લે, પરંતુ તેમણે શ્રાપ પાછો ન લીધો. જ્યારે તેમનો ગુસ્સો શાંત થયો ત્યારે સાવિત્રીએ કહ્યું કે આ ધરતી ઉપર માત્ર પુષ્કરમાં જ તમારી પૂજા થશે. કોઈ પણ તમારું બીજું મંદિર બનાવશે તો તેનો વિનાશ થઈ જશે. તેમજ ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીની આ કામમાં મદદ કરી હતી તેથી દેવી સરસ્વતીએ વિષ્ણુને શ્રાપ આપ્યો કે તેમણે પત્ની વિયોગનું કષ્ટ ભોગવવું પડશે. આ જ કારણે રામને (ભગવાન વિષ્ણુના માનવ અવતાર) જન્મ લેવો પડ્યો અને 14 વર્ષના વનવાસ દરમિયાન તેમણે પત્નીથી અલગ રહેવું પડ્યું.
નથી ખબર કોણે બનાવ્યું મંદિર
બ્રહ્માજીના મંદિરનું નિર્માણ ક્યારે થયું તથા કોણે બનાવ્યું તેનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ એવું કહેવાય છે કે આજથી લગભગ એક હજાર વર્ષ પહેલા અર્ણવ વંશના એક શાસકને એક સ્વપ્નું આવ્યું હતું કે આ જગ્યાએ એક મંદિર છે, જેને યોગ્ય સાર-સંભાળની જરૂર છે. ત્યારે રાજાએ આ મંદિરના જૂના માળખાનો જીર્ણોદ્ધાર કર્યો.
સાવિત્રીનું પણ છે મંદિર
પુષ્કરમાં સાવિત્રીનું પણ મંદિર છે, પરંતુ તે બ્રહ્માજીની નજીક હોવાને બદલે મંદિરની પાછળ એક પહાડ ઉપર સ્થિત છે જ્યાં સુધી પહોંચવા માટે હજારો પગથિયાં ચડવા પડે છે.
કારતક પૂનમે લાગે છે પુષ્કર મેળો
ભગવાન બ્રહ્માએ પુષ્કરની કારતક પૂર્ણિમાના દિવસે યજ્ઞ કર્યો હતો. આ જ કારણ છે કે અહીં દરવર્ષે ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે કાર્તિક પૂર્ણિમાના પર પુષ્કર મેળો લાગે છે. આ મેળામાં બ્રહ્માજીના મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો પહોંચે છે. આ દિવસે ભગવાન બ્રહ્માની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.