સૂર્યપુત્ર શનિદેવને તેમની પત્નીએ આ કારણે ગુસ્સાથી આપ્યો શ્રાપ, પછી થયુ એવું કે…
શનિ દેવ એક એવા દેવ અને ગ્રહ છે કે તેમની કોપ દ્રષ્ટિથી સમગ્ર જગતવાસીઓ કાંપી ઉઠે છે. હિંદૂ ધર્મના તમામ દેવતાઓની સરખામણીમાં શનિદેવની દ્રષ્ટિને સૌથી વધારે અશુભ માનવામાં આવે છે. તેમના વર્ણ અને અશુભ દ્રષ્ટિના કારણે તેમને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ ખરાબ કર્મોનું ફળ આપનાર દેવતા છે. પરંતુ જેના પર પણ શનિની દ્રષ્ટિ પડે છે તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે.
ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવું થવા પાછળ કારણ શું હશે ? બ્રહ્મવૈવર્ત પુરાણમાં તેની સ્પષ્ટતા બે કથા સાથે કરવામાં આવી છે કે જેનાથી જાણવા મળે છે કે શનિદેવનો વર્ણ કાળો અને દ્રષ્ટિમાં દોષ શુ કામ છે.
શનિદેવનો વર્ણ આ કારણથી કાળો
સૂર્યદેવના લગ્ન પ્રજાપતિ દક્ષની પુત્રી સંજ્ઞા સાથે થયા હતા. સૂર્યનું રૂપ પરમ તેજસ્વી હતું જેને જોઈ શકવું સામાન્ય આંખો માટે શક્ય નહોતું. આ કારણથી સંજ્ઞા પણ તેમના તેજને સહન નહોતી કરી શકતી. લગ્નના થોડા સમય પછી દેવી સંજ્ઞાના ગર્ભથી ત્રણ સંતાનોનો જન્મ થયો. આ ત્રણ સંતાન મનુ, યમ અને યમુનાજી હતા.
ત્યારપછી દેવી સંજ્ઞા માટે સૂર્યદેવનો તેજ સહન કરવો અશક્ય થઈ જતા તેમણે પોતાની છાયાને પતિ સૂર્યની સેવામાં રાખી અને સ્વયં ત્યાંથી જતા રહ્યાં. થોડા સમય પશ્ચાત સંજ્ઞાની છાયાના ગર્ભથી શનિદેવનો જન્મ થયો. છાયાનું સ્વરૂપ કાળુ જ હોય છે આ જ કારણ છે કે શનિદેવ પણ શ્યામવર્ણ એટલે કે કાળા રંગના થયા.
શનિદેવને પત્નીએ આપ્યો હતો શ્રાપ
સૂર્યપુત્ર શનિદેવના લગ્ન ચિત્રરથ નામના ગંધર્વની પુત્રી સાથે થયા હતા. તેઓ સ્વભાવે અત્યંત ઉગ્ર હતા. એક સમયની વાત છે શનિદેવ ભગવાન કૃષ્ણની આરાધના કરી રહ્યા હતા, ત્યારે તેમના પત્ની માસિક ધર્મ સ્નાન પછી જાતીય વ્યવહારની ઈચ્છા લઈ તેમની પાસે પહોંચ્યાં. પરંતુ શનિદેવ શ્રીકૃષ્ણની ભક્તિમાં એટલા મગ્ન હતા કે તેમને આ વાતનો ખ્યાલ જ ન આવ્યો.
જ્યારે શનિદેવનું ધ્યાન ભંગ થયું ત્યારે તેમની પત્નીનો માસિક ધર્મ પૂરો થઈ ચૂક્યો હતો. આ વાતથી ક્રોધિત થઈ શનિદેવના પત્નીએ તેમને શ્રાપ આપ્યો કે, “પત્ની હોવા છતાં તેમણે પત્નીને ક્યારેય પ્રેમની દ્રષ્ટિથી નથી જોઈ, તેવી જ રીતે હવે તમે કોઈ વ્યક્તિને જોશો તો તેનું અહિત થશે જ.” આ જ કારણથી શનિદેવની દ્રષ્ટિમાં દોષ માનવામાં આવે છે.