The Statue Of Bada Ganesh Which Is Made By Jiggery And Fenugreek Seeds
ભારતની એકમાત્ર વિશાળ ગણેશ મૂર્તિ, જે બની છે ગોળ અને મેથીના દાણાથી
ભારતના દરેક ખૂણામાં ભગવાન ગણેશજીના મંદિર છે અને તેમના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે, ઉજ્જૈનનું મોટું ગણેશ મંદિર. આ મંદિર ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાળેશ્વર મંદિરની પાસે જ છે. આ મંદિરમાં ભગવાન ગણેશને મોટા ગણેશ (બડે ગણેશ)ના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન ગણેશની એક વિશાળ મૂર્તિ છે. આ જ કારણે તેને બડે ગણેશજીના નામથી ઓળખવામાં આવે છે. અહીં સ્થાપિત ગણેશજીની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી અને વિશાળ ગણેશજીની મૂર્તિઓમાંથી એક છે.
ગોળ અને મેથીના દાણાથી બનેલી છે અહીંની ગણેશ મૂર્તિઃ-
એવું કહેવામાં આવે છે કે આ ગણેશ પ્રતિમાની સ્થાપના મહર્ષિ ગુરૂ મહારાજ સિદ્ધાંત વાગેશ પં. નારાયણજી વ્યાસે કરાવી હતી. આ મંદિરમાં ગણેશની પ્રતિમાના નિર્માણમાં અનેક પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યાં હતાં. એવું કહેવામાં આવે છે કે, આ વિશાળ ગણેશ પ્રતિમાને સીમેન્ટથી નથી બનાવવામાં આવી. આ મૂર્તિનું નિર્માણ ઈટ, ચૂના અને રેતીથી કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની સૌથી મોટી ખાસિયત છે કે, આ પ્રતિમાને બનાવવામાં ગોળ અને મેથી દાણાના મસાલાને પણ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.
મૂર્તિમાં છે બધા જ પાવન તીર્થોનું જળ અને માટીઃ-
સાથે જ, આ મૂર્તિને બનાવવામાં બધા જ પવિત્ર તીર્થ સ્થળોના જળને મિક્સ કરવામાં આવ્યું હતું અને સાત મોક્ષપુરીઓ મથુરા, માયા, અયોધ્યા, કાંચી, ઉજ્જૈન, કાશી અને દ્વારકાની માટી પણ મિક્સ કરવામાં આવી છે. જે આ મૂર્તિને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. આ પ્રતિમાના નિર્માણમાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો હતો.
આવી છે અહીંની મૂર્તિઃ-
અહીંની ગણેશ પ્રતિમા લગભગ 18 ફૂટ ઉંચી અને 10 ફૂટ પહોળી છે. આ મૂર્તિમાં ભગવાન ગણેશની સૂંઢ દક્ષિણાવર્તી છે. પ્રતિમાના મસ્તક ઉપર ત્રિશૂળ અને સ્વસ્તિક બનાવવામાં આવ્યું છે. જમણી બાજુ રહેલી સૂંઢમાં એક લાડુ છે. ભગવાન ગણેશના વિશાળ કાન છે, ગળામાં ફૂલની માળા છે. બંન્ને ઉપરના હાથ જાપમુદ્રામાં અને નીચે જમણાં હાથમાં માળા અને ડાબા હાથમાં લાડુનો થાળ છે.
આ મંદિરમાં છે ઘણાં દેવી-દેવતાઃ-
આ મંદિરમાં ભગવાન ગણેશની સાથે-સાથે ઘણાં દેવી-દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત છે. મંદિરમાં માતા યશોદાના ખોળામાં બેસેલાં ભગવાન કૃષ્ણની પ્રતિમા છે અને તેની પાછળ શેષનાગ ઉપર વાંસળી વગાડતા કૃષ્ણજીની ખૂબ જ સુંદર મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરની વચ્ચે પંચમુખી હનુમાન ચિંતામણિની એક સુંદર પ્રતિમા પણ છે, એવું કહેવામાં આવે છે આ મૂર્તિની સ્થાપના બડે ગણપતિની સ્થાપના પહેલાં કરવામાં આવી હતી. પંચમુખી એટલે પાંચ મુખોવાળા હનુમાન. તેમના મુખ આ પ્રકારે છેઃ પૂર્વમાં હનુમાન મુખ છે અને પશ્ચિમમાં નરસિંહ મુખ, ઉત્તરમાં વરાહ છે તો દક્ષિણમાં ગરૂ઼ડ મુખ. પાંચમા મુખ ઉપરની તરફ છે જે ઘોડાનો હયગ્રીવ અવતાર છે. હાથમાં અસ્ત્ર-શસ્ત્ર માટે પણ પંચમુખી હનુમાનની આ મૂર્તિ ખૂબ જ સુંદર છે.