રામે બ્રાહ્મણને ભેટમાં આપેલી પોતાની પ્રતિકૃત્તિ મળી હતી હનુમાનજીને, આજે પણ છે આ રાજ્યમાં
રામાયણમાં ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીના અનેક પ્રસંગોનો ઉલ્લેખ મળે છે. તદ્ ઉપરાંત પ્રભુના અન્ય ભક્ત જેવા કે સુગ્રીવ, જાંબવંત, વિભીષણ સહિતના ભક્તોની ભક્તિની કથાઓ તમે સાંભળી હશે. પરંતુ આજ સુધી તમે શ્રીરામના રાજ્યમાં વસતાં તેમના પરમ ભક્ત એવા એક બ્રાહ્મણ વિશે નહીં જાણ્યું હોય.
રામાયણના 1થી 15માં અધ્યાયમાં એક બ્રાહ્મણનું વર્ણન મળે છે. આ ભક્તનો નિયમ હતો કે તે રોજ સવારે શ્રીરામને પ્રણામ કરવા આવે. શ્રીરામના દર્શન પછી જ તે કોઈપણ વસ્તુ આરોગતો. જે દિવસે પ્રભુના દર્શન ન થાય ત્યારે તે ઉપવાસ કરતો. જો ભગવાન રાજ્યમાં ન હોય તો તે બ્રાહ્મણ ભુખ્યા પેટે દિવસો ગુજારતો.
આ વાતની જાણ શ્રીરામને થઈ તો તેમણે પોતાના આ પરમ ભક્તની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેઓ નવ દિવસ સુધી રાજ્યમાંથી બહાર રહ્યા. પરંતુ આ દિવસોમાં પણ બ્રાહ્મણનું મન ફર્યુ અને તેણે ખાધા-પીધા વિના જ આ દિવસો ઉપવાસ કર્યા. તેની અનન્ય ભક્તિથી ભગવાનનું હૃદય પણ પીગળી ગયું અને શ્રીરામે લક્ષ્મણને આજ્ઞા કરી કે તે બ્રાહ્મણને રામ-સીતાની એક મૂર્તિ બનાવીને આપે, જેથી તે રોજ તેના દર્શન કરી પોતાના નિયમનું પાલન પણ કરે અને પ્રભુની અનુપસ્થિતીમાં તેને ભુખ્યા ન રહેવું પડે. બ્રાહ્મણે તેના અંત સમય સુધી તે મૂર્તિની સેવા-પૂજા કરી અને અંતે તે મૂર્તિ તેણે હનુમાનજીને સોંપી દીધી.
હનુમાનજી આ મૂર્તિઓને પોતાની સાથે રાખતાં અને જ્યારે તેમણે ગંધ-માર્દન પર્વત પર જવાનો નિર્ણય કર્યો ત્યારે આ મૂર્તિ તેમણે ભીમને સોંપી હતી. કાળક્રમે આ મૂર્તિઓ પાંડવોના વંશજ પાસેથી ઉડૂપી પહોંચી જ્યાં આજે પણ તેમની પૂજા-અર્ચના થાય છે.