સ્વયં ફૂલમાં જ શિવલિંગ બિરાજમાન રહે એવું ફૂલ
વૃક્ષ-શાસ્ત્ર
હાલ આપણે જોઇ રહ્યાં છીએ અને અનુભવી પણ રહ્યાં છીએ કે કુદરત જ્યારે માણસને સબક શીખવવા બેસે ત્યારે એ એટલી આકરી થઇ જતી હોય છે કે તેને સારા સારા ખેરખાં પણ નથી પહોંચી શકતા અને બધાએ પોતાનાં શસ્ત્રો નીચે મૂકી દેવાં પડે છે. આપણે કુદરતને વર્ષોવર્ષ હેરાન પરેશાન કરી દઇએ છીએ ત્યારે આપણે એક વાર પણ એવું નથી વિચારતા કે તેનું પરિણામ શું આવશે.
જ્યારે પરિણામ ભોગવવાનો સમય સામે આવે છે ત્યારે આપણે ડરી જઇએ છીએ, પણ ખરેખર એ આપણાં જ કર્મો હોય છે કે આપણે સુંદર અને શાંત પ્રકૃતિ ધરાવતી કુદરતને કડક શિક્ષક બનવા મજબૂર કરીએ છીએ. ઘણાં સમયથી દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પ્રદૂષણ ઘટતાં જલંધરથી હિમાલય પર્વત દેખાવા લાગ્યા એ ખરી કુદરત છે, ગંગાનું પાણી સ્વચ્છ થઇને ફરીથી તે જગ્યા રમણીય બની ગઇ તે ખરી કુદરત છે.
કુદરતી સૌંદર્યનો ભંડાર દરેક જગ્યાએ છે, જો આપણે તેને હેરાન ન કરીએ તો. બાકી આપણે નાનીનાની વસ્તુ થકી પણ કુદરતની અદ્ભુત કરામતને જોઇ શકીએ છીએ. જેમ કે, સુંદર મજાનાં ફૂલો. આજે વૃક્ષશાસ્ત્રમાં આપણે એવા જ એક ફૂલની વાત કરવાની છે કે જેમાં ફૂલની અંદર જ ખુદ શિવલિંગ બિરાજમાન હોય છે.
આપણે વાત કરી રહ્યાં છીએ કૈલાશપતિની. કૈલાશપતિ એ ફૂલનું નામ છે. આ ફૂલની અંદર જ નાનું એવંુ શિવલિંગ તમને જોવા મળશે. ફૂલનો આકાર અને રચના એવાં છે કે શિવલિંગ જાણે કે ફૂલના બિછાના ઉપર અને કમળની પાંદડીઓ ઉપર બિરાજમાન હોય એવું તમને લાગશે. જ્યારે શિવલિંગની ઉપર ફેણ માંડીને નાગદેવતા બિરાજમાન હોય તેમ તેની પરાગરજ આવેલી છે.
ફૂલની પાંચ પાંદડીઓ ઘાટા રાણી કલરની હોય છે, જ્યારે શિવલિંગ સફેદ કલરનું અને બાકીનો ભાગ સફેદ અને ગુલાબી રંગનો હોય છે. કૈલાશપતિને શિવકમલ, નાગલિંગ વગેરે નામે પણ ઓળખવામાં આવે છે. આ ફૂલનું ઝાડ મોટાભાગે શિવમંદિરમાં વધારે જોવા મળે છે. જ્યારે ઘણાં લોકો પોતાના ઘરમાં પણ તેને ઉગાડે છે. બૌદ્ધિઝમ મંદિરોમાં પણ આ ફૂલનું ઝાડ અચૂક તમને જોવા મળશે.
કૈલાશપતિ ફૂલનું ઝાડ મોટું હોય છે, ફૂલ તેના દેખાવ અને સુવાસ માટે ખૂબ જાણીતું છે. વૃક્ષશાસ્ત્રમાં માનવામાં આવે છે કે ઘરમાં તેને ઉગાડવાથી ઘર ઉપર કદી સંકટનાં વાદળો નથી ઘેરાતાં. તે ઘર હંમેશાં તકલીફથી દૂર રહે છે, કારણ કે તેમાં ઝાડ સ્વરૂપે સાક્ષાત્ શિવજીનો વાસ માનવામાં આવે છે. વળી કૈલાશપતિ ફૂલ દેવી લક્ષ્મી અને પાર્વતીજીનું અતિપ્રિય ફૂલ માનવામાં આવે છે, તેથી તમે જો ધનપ્રાપ્તિની કામના કરતાં હોવ તો વિષ્ણુ અને લક્ષ્મી દેવીને રોજ કૈલાશપતિ ફૂલ પ્રાતઃકાળે ચડાવવું જોઇએ.
રોજ એક ફૂલને ઘરની તિજોરીમાં રાખવાથી તિજોરીમાં ધનની ક્યારેય કમી નહીં વર્તાય. એ જ રીતે જે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના સૌભાગ્યનું હંમેશાં રક્ષણ થાય તેમ ઇચ્છતી હોય તેણે પાર્વતી દેવીને આ ફૂલ ચડાવવું જોઇએ. આ ફૂલની સુગંધ ગણેશજીની પ્રિય સુગંધ માનવામાં આવે છે. ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ અને ગણેશકૃપાનો વાસ બની રહે તેમ ઇચ્છતાં હોવ તો સવારના સમયે નાહીને દીવો કરી ગણેશજીને રોજ એક ફૂલ અર્પણ કરવું. કહેવાય છે કે જે ઘરના આંગણામાં કૈલાશપતિનું ઝાડ હશે ત્યાં નકારાત્મક શક્તિ ક્યારેય ઘરમાં પ્રવેશ નહીં કરી શકે.
કૈલાશપતિ વૃક્ષમાંથી રોજ લગભગ ૧૦૦૦ જેટલાં ફૂલ ઊતરી શકે છે. તેમાં ચીકુ જેવાં ગોળ ફળ આવે છે.