ક્યારેક કોઈને કહેવાનું મન થઈ આવે છે કે યાર હું મજામાં નથી. મને ક્યાંય ગમતું નથી. બહુ મૂંઝારો થાય છે. ક્યાંય જીવ નથી લાગતો. ક્યારેક કોઈ સાથે વાત કરવાનું મન થાય છે. મોબાઇલ હાથમાં લઈને કોઈને ફોન લગાડવાનો વિચાર આવે છે. ફોનબુકમાંથી એકેય નામ એવું મળતું નથી જેની સાથે વાત કરવાનું મન થાય. આવા સમયે વેદના બેવડાઈ જાય છે. કોઈને કંઈ કહેવાનો મતલબ નથી. કોઈને શું ફેર પડે છે? મારા દુઃખ સાથે દુઃખી થવાવાળું કોઈ છે જ નહીં. બધા પોતાનામાં જ મસ્ત છે,પોતાનામાં જ વ્યસ્ત છે. કોઈ ક્યાં પૂછવા આવવાનું છે કે તું કેમ ઉદાસ છે? કઈ પીડા તને પરેશાન કરી રહી છે?