Every Woman Should Do This Vastu Tips At Their Home To Get Happiness
જો પ્રત્યેક સ્ત્રી આ વાતનું રાખશે ધ્યાન, તો પરિવાર રહેશે સુખી, સમૃદ્ધ ને સફળ
ઘર બને છે પતિ-પત્ની અને પરિવારથી, પતિ-પત્ની પોતાની મૂળભૂત ફરજો યોગ્ય રીતે નિભાવતા હોય તો પરિવારમાં ક્યારેય દુઃખ આવતા નથી હોતા. પારંપરિક રીતે પુરુષો બહારનું કામ કરીને પરિવારનું પાલન-પોષણ કરે છે તો મહિલાઓ પણ પુરુષોની સાથે આજે કામ કરવા લાગી છે, પણ આજે પણ આપણે ત્યાં સ્ત્રીઓને ઘરની રાજરાણી તરીકે જ ઓળખવામાં આવે છે અને ઘરની બધી જવાબદારી તેના ઉપર જ હોય છે.
સુખી રહેવા માટે સંબંધોમાં સામજસ્યની સાથે ઘરની બીજી પણ ઘણી બાબતો મહત્વ ધરાવે છે જેમ કે ઘરનું યોગ્ય વાસ્તુ હોય તો ઘરમાં ક્યારેય દુઃખ નથી આવતા. કોઈ પણ વાસ્તુમાં કુશળ સ્ત્રી વગર ઘર બનતું નથી. ઘરની સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સુંદરતા, અતિથિનું સ્વાગત, દેવપૂજા, ઘરમાં શાંતિ જાળવવી, પાપી અને કુકર્મીને દૂર રાખવા, વડીલો અને બ્રાહ્મણોનું માન રાખવું, બાળકોને વ્યસનોથી બચાવવાં વગેરે ઘરની સ્ત્રીઓ જ કરે છે.
પુરુષોની તુલનાએ સ્ત્રી જાતિ સ્વભાવે ધર્મને અનુસરનારી, ધર્મનું પાલન કરનારી, રીતિ-રિવાજ પાળનારી, સંસ્કારી હોવાથી પવિત્રતા ટકાવે છે. હંમેશાં પ્રસન્ન અને સમૃદ્ધ ઘર રાખવાની જવાબદારી સ્ત્રી પર હોય છે. આજે જાણો સ્ત્રીઓ ઘર-પરિવારને સુખી રાખવા માટે ઘરમાં કેવા-કેવા ફેરફાર કરી શકે છે
ઘરમાં એકાદ તુલસીનો છોડ હોવો જોઈએ. જે ઘરમાં તુલસી આપોઆપ આવે, ફૂલે ને ફળે તે વાસ્તુ (ઘર)પવિત્ર હોય છે. જે વાસ્તુમાં તુલસી ટકે નહીં તે વાસ્તુમાં કોઈ દોષ હોવાની શક્યતા રહે છે. તુલસી તરફ દુર્લક્ષ ન રાખવું જોઈએ. પાણી વગરની, દેખરેખ વગરની તુલસી ઘરમાં હોય ત્યાં કંઈક અનિષ્ટ થઈ શકે છે એમ સમજવું.
- ચાલુ ઘડિયાળ વગર કારણે વારંવાર બંધ પડે તો એ અશુભ નિશાની છે. ઘરમાં લોલકનું એકાદ ઘડિયાળ અવશ્ય હોવું જોઈએ. જેની જન્મ પત્રિકામાં રવિ-શનિ અથવા શનિ-ચંદ્ર છે તેમણે વધુ કાળજી લેવી.
વાસ્તુશાસ્ત્રમાં ઇશાન દિશાને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘરમાં હંમેશાં ઇશાન દિશાને સ્વચ્છ અને પવિત્ર રાખવી. કચરાની ડોલ, ભંગાર માલ, બિનજરૂરી વસ્તુ અથવા કાટ ખાતી વસ્તુઓનો સંગ્રહ આ દિશામાં કરવો નહીં. આ દિશામાં ઝાડુ પણ ન મૂકવું.
- ઇશાન દિશામાં બેસીને વાદવિવાદ, ઝઘડો, બૂમાબૂમ ટાળવી.
- ઇશાન દિશામાં શક્ય તેટલી ખુલ્લી જગ્યા રાખવી. પાણી ભરેલું માટલું રાખવું.
- ઇશાન બાજુની બાલ્કની ક્યારેય પણ બંધ કરાવવી નહીં તેમ કરવાથી ભાગ્ય રુંધાય છે.
પૂજાસ્થાન કે મંદિર બને ત્યાં સુધી રસોડામાં ન રાખવું. તેમજ પૂજાસ્થાન નીચે કે ઉપર બોજો અથવા સામાન મૂકવો નહીં. રસોડામાં પૂજાસ્થાનની પવિત્રતા સચવાતી નથી.
- દક્ષિણ અને પશ્ચિમ તરફના દરવાજાનો વપરાશ શક્ય તેટલો ઓછો કરવો. શક્ય હોય તો વપરાશ બંધ રાખવો.
- ભોજનકક્ષ પશ્ચિમ ખૂણામાં રાખવો.
- ધાન્ય (અનાજ)નો સંગ્રહ નૈઋત્ય દિશામાં કરવો.
દિવસના ૨૪ કલાકમાં ૮ કલાક વિશ્રાંતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્વના છે. શયનકક્ષ ઇશાન કે પૂર્વમાં ન રાખવો. અગ્નિ દિશામાં પણ ન રાખવો. ૨૪ કલાક સ્ત્રી ઘરમાં હોય છે, તેથી વાસ્તુની અસર તેના પર વધારે હોય છે.
- પ્રાતઃકાળે સ્નાન કરીને પૂર્વ દિશામાં સૂર્યનારાયણની પૂજા કરવી, તુલસીને પાણી નાખવું, તેથી આયુષ્ય વધે છે. આરોગ્ય સારું રહે ને જીવનમાં સારાં કાર્યો થાય.