અત્યંત સિદ્ધ છે સુંદરકાંડનો પાઠ, સુખ-શાંતિ-વૈભવ થાય છે પ્રાપ્ત
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનું સંપૂર્ણ જીવન ચરિત્ર ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસમાં સમાયેલ છે. જેને સામાન્ય ભાષામાં આપણે રામાયણ તરીકે જાણીએ છીએ. આમતો આની પ્રત્યેક ચોપાઈનું પઠન કરવાથી પુણ્યદાયી ફળ મળે છે પણ આ સૌમાં ઉત્તમ સુંદરકાંડ માનવામાં આવે છે. સુંદરકાંડમાં હનુમાનજી દ્વારા કરવામાં આવેલા મહાન કાર્યોનું વર્ણન કરવામાં આવે છે. અખંડ રામાયણ પાઠમાં સુંદરકાંડનું વિશેષ મહત્વ રહેલું છે.
સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ છે. જ્યાં રાક્ષસોની વસાહત છે, બીજા શિખરનું નામ સુબેલ છે. જ્યાં યુદ્ધ થાય છે. અને ત્રીજા શિખરનું નામ છે સુંદર. જેની ઉપર અશોકવાટિકા આવેલી છે. રાવણે અપહરણ કરી શ્રી સીતાજીને પધરાવ્યાં છે તે શિખર. અહીં સુંદરકાંડનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ કાંડનું નામ સુંદરકાંડ આપવામાં આવ્યું છે.
મહાભારતમાં જેમ વિરાટ પર્વ શ્રેષ્ઠ છે તેમ રામાયણમાં સુંદરકાંડ શ્રેષ્ઠ છે.
સુંદરે સુંદરો રામ, સુંદરે સુંદરી કથા;
સુંદરે સુંદરી કથા, સુંદરે કિન્સુંદરમ્:
સુંદરકાંડમાં શ્રીરામ સુંદર છે, સુંદરકાંડની કથા માર્ગદર્શક હોઇ તે પણ સુંદર છે. શ્રી સીતાજી પણ સુંદર છે. પછી સુંદરકાંડ શા માટે સુંદર ના હોય! જેની સાધના ઉપાસના કરવાથી જીવનનાં તમામ પાસાં સુંદર બની જાય છે. તે સુંદરકાંડ છે. માનવ જીવનને સુંદર બનાવવામાં સુંદરકાંડ માર્ગદર્શક છે. સુંદરકાંડ એ હનુમાનજી મહારાજની પરાક્રમગાથા છે. જીવનમાં જ્યાં સુધી ભક્તિનો પ્રવેશ થતો નથી ત્યાં સુધી જીવન વિધ્નોથી ભરેલું રહે છે. પરંતુ જીવનમાં ભક્તિનો પ્રવેશ થતાં જ તમામ વિધ્નોનો નાશ થાય છે અને શાશ્વત શાંતિનો અનુભવ થાય છે.
સુંદરકાંડમાં જ્યાં સુધી હનુમાનજી મહારાજને શ્રી સીતાજીનાં દર્શન થતાં નથી ત્યાં સુધી તેમના માર્ગમાં પ્રલોભન રૂપી મૈનાક, સ્પર્ધકરૂપી સુરસા, ઇર્ષારૂપી સિંહિકા, અને ભેદબુદ્ધિરૂપી લંકિનીએ વિધ્નો ઊભાં કર્યાં છે. પરંતુ હનુમાનજીને વિભીષણજી જેવા સંતનું માર્ગદર્શન મળ્યું અને હનુમાનજી મહારાજ વિભીષણજીના બતાવેલા માર્ગે ચાલ્યા તો તેમને શ્રી સીતાજીનાં દર્શન થયાં. ત્યાર બાદ રાક્ષસોને મારી લંકાને બાળી શ્રીરામજીના ચરણે પહોંચ્યાં. આમ નિયમિત સુંદરકાંડનો પાઠ કરવાથી સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે.