હું તો મારી તરસ લઇને જાતો હતો, એણે માર્યો મને ઝાંઝવે ઝાંઝવે,
એની ફરિયાદે ક્યાં જઇને કરવી હવે, એનાં ગીતો બધે માંડવે માંડવે.
મારા જીવતરની ચાદર મેં વેચી દીધી, મૃત્યુ પાણીના ભાવે જ લઇને ગયું;
શ્વાસે શ્વાસે વણી’તી મેં ચાદર અને ભાત પાડી હતી તાંતણે તાંતણે.
એક આકાર આપીને જંપ્યો નહિ, હર પ્રસંગે મને એ બદલતો રહ્યો;
ખૂબ વલખાં મેં માર્યાં છટકવાનાં તોય મને ઘડતો રહ્યો ટાંકણે ટાંકણે.
આવી ઘટનાને અવસર પણ કહેવો કે નહિ એની અટકળમાં રાત પછી ઢળતી રહી;
મને સપનાની ડાળથી તોડી હવે એણે શણગાર્યો છે પાંપણે પાંપણે.
તેં જ સગપણ ને ઇચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા;
તારી લીલાનો પરચો છે, નહિતર અહીં સંત જનમ્યા હતા પારણે પારણે.
– અશરફ ડબાવાલા
🙏🏻
- Umakant