ઘરના નિર્માણ કાર્ય સમયે જ જો વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતોનું ધ્યાન રાખવામાં આવે તો એ ઘર ચોક્કસપણે ફળદાયી અને સુખ આપનારું નિવડે છે. એ ઘરમાં પૈસાની ક્યારેય ખોટ પડતી નથી. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે ઘર બનાવતા પહેલાં ભૂમિ પૂજન કરવું જોઈએ અને પાયો ખોદતી વખતે પણ પૂજન કરવું જોઈએ. આ પૂજન પણ ચોક્કસ દિસામાં કરવામાં આવે તો ક્યારેય ધનની કમી પડતી નથી.જ્યારે ભૂમિ પૂજન કરીને ખોદકામ પછી નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે ત્યારે જો સૌથી પહેલાં નળના પાણી માટે ટાંકી બનાવવી જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરના નિર્માણ પછી તેમાં રહેનારા સર્વ પ્રકારે સુખી થાય છે. તેમને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
જો તમે ઘર બનાવડાવતા હોય તો ઘર નિર્માણ દરમિયાન સાધન સામગ્રી ક્યાં રાખવી તે વિશે પણ વાસ્તુશાસ્ત્રમાં વિધાન છે. યોગ્ય દિશામાં જો મકાન બનાવટ માટેની સામગ્રી જેવી કે ઈંટ, પત્થર, લોખંડ, ટાઈલ્સ, સીમેન્ટ જેવી ચીજોને રાખવી જોઈએ. સામાન્ય રીતે આ સામગ્રી દક્ષિણ પશ્ચિમ કે નૈઋત્ય ભાગમાં રાખવામાં આવે તો તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઉત્તર-પૂર્વ કે ઈશાન ખુણામાં આ પ્રકારની સામગ્રી ન રાખવી જોઈએ.
ઘર બનાવવા માટે પાયો ખોદવાની શરૂઆત હમેંશા ઈશાન(ઉત્તર-પૂર્વ) ખુણામાંથી કરવી જોઈએ. ઈશાનખૂણાથી શરૂ કરીને વાયવ્ય ખૂણા સુધી એટલે કે ઉત્તર પશ્ચિમ ખૂણા સુધી કરવી જોઈએ. બીજી તરફ ઈશાનથી આગ્નેય ખૂણા સુધી પુર્વ અને દક્ષિણ ખૂણા સુધી પાયો ખોદવો જોઈએ. અંતમાં આગ્નેય ખૂણાથી શરૂ કરીને નેઋત્ય ખૂણા પર ખોદકામ પૂર્ણ કરવું જોઈએ.
જ્યારે પાયો ભરવામાં આવે ત્યારે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. નૈઋત્ય ખૂણો એટલે કે દક્ષિણ-પશ્ચિમ ખૂણો પહેલાં ભરવો જોઈએે. ત્યાંથી અગ્નિ ખૂણા સુધી પાયો ભરવો જોઈએ. એ પછી વાયવ્ય ખૂણાથી ભરવાનું કામ શરૂ કરીને નૈઋત્ય ખૂણા સુધી ભરવો જોઈએ. એ પછી આગ્નેય ખૂણાથી ઈશાન ખૂણા તરફ લઈ જતાં પાયો ભરવો જોઈએ. અંતમાં વાયવ્ય ખૂણાથી ઈશાન ખૂણાનો પાયો ભરવો જોઈએ.
ભવન કે મકાનની દિવાલો જ્યારે ચણવામાં આવે ત્યારે ઉત્તર અને પૂર્વ દિશાની દિવાલો થોડી નીચી અને દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલો થોડી ઉંચી હોવી જોઈએ. મકાનની છત થોડી ઉત્તર- પૂર્વ તરફ ઢળતી હોવી જોઈએ.
મકાનમાં યોગ્ય ઉંચાઈ ધાબુ ભરવું જોઈએ. મકાનમાં બારી દરવાજા સામસામે આવે તે રીતે તેની બનાવટ કરવી જોઈએ. જો આ નિયમોને ધ્યાનમાં રાખીને મકાન બનાવવામાં આવે તો તે નિશ્ચિતપણે શુભફળદાયી નિવડશે. તેમાં રહેનારા સુખી થશે.