નારદપુરાણમાં લખી છે આ વાતો, જાણો કેવી રીતે કરવું જોઈએ અનુષ્ઠાન
પૂજા અને મંત્ર જાપ કરતી વખતે હંમેશા સતર્ક રહેવું જોઈએ. કેટલાક દિવસો એવા હોય છે જ્યારે દેવી-દેવતાઓની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ જ્યારે પૂજા કરવામાં આવે ત્યારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો વ્યક્તિ પુણ્ય ફળને બદલે પાપના ભાગીદાર બની જાય છે.
પૂજા કરતી વખતે મનની ભાવનાઓ અને શરીરની ક્રિયાઓ પર નિયંત્રણ રાખવું. જેમકે છીંક, ઉધરસ ખાવી, મનમાં ગુસ્સો, લાલચ જેવી ભાવનાઓ રાખવી. આવી લાગણીઓથી મન અપવિત્ર થઈ જાય છે. પૂજા જ્યારે પણ કરીએ ત્યારે મન પણ પવિત્ર હોવું જોઈએ. પૂજા, જપ તપ માટેના કેટલાક આવશ્યક નિયમોનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે. વાસ્તુ અનુસાર પૂજા કરવા માટે ઈશાન ખૂણો સૌથી શ્રેષ્ઠ હોય છે. એટલે ક ભગવાનની સ્થાપના આ ખૂણામાં જ કરવી જોઈએ.
ઈશાન ખૂણો અત્યંત શુભ સ્થળ છે. પૂર્વ-ઉત્તરની દિશામાં બેસીને કરેલી કોઈપણ પૂજા સિદ્ધ થાય છે અને ફળદાયક નીવડે છે. પૂર્વ દિશા તરફ મોં કરીને કોઈપણ શુભ કામ કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ જ મળે છે. એટલા માટે જ પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ પૂજા કરવા બેસવું જોઈએ.