માણસ પ્રકૃતિથી અમુક પ્રકારનો હોય અને જીવનમાં તેને એથી વિરુદ્ધ પ્રકારની જ પરિસ્થિતિનો ભેટો કર્યા કરવો પડે; વિષુવવૃત્તના જંગલોમાં રહેનારા માણસને હિમપ્રદેશની અતિ આકરી ઠંડીમાં રહેવા જવાનું આવે; સ્વભાવે સૌમ્ય ક્લેશ-કંકાસથી એકદમ વિમુખ સ્ત્રીને આખી જિંદગી ઉગ્ર, કઠોર, હિંસક માણસ સાથે રહેવાનું આવે ત્યારે શું થાય? નદીકાંઠે ઉગતું વૃક્ષ રણમાં ઉગાડવા જતાં મરી જાય. પણ માણસ તો એમ મરી જતો નથી. તેની સહન કરવાની અખૂટ શક્તિ જ તેની શત્રુ બની રહે છે. તે બધી પરિસ્થિતિમાં ગમે તેમ કરીને જીવી જાય છે; પણ તેના સ્વભાવની, હૃદયની, પ્રકૃતિની જે કોઈ સુંદરતા હોય તે નાશ પામે છે. જડ માણસની સાથે અથડાઈને, સંવેદનશીલ માણસ પણ પછી જડ થઈ જાય છે.
પરોઢ થતાં પહેલાં :~ કુન્દનિકા કાપડિયા