આજે શ્રી. દેવાંશુ પંડિત નો અમદાવાદમાં પાણી કેમ ભરાય છે તે મતલબનો યુટ્યુબ વીડિયો જોયો.
સાંજે કોઈ કામે બહાર નીકળતાં જોયું કે ગટરો (એક પાડોશીએ ધ્યાન દોર્યું કે ગટર અને ડ્રેનેજ અલગ વસ્તુઓ છે) એટલે આ પાણીના નિકાલ, ડ્રેનેજ સિસ્ટમ ના રસ્તા પર રાખેલ સિમેન્ટનાં ઢાંકણાં સજ્જડ બંધ હતાં. ક્યાંક એને ઉપાડવાના સ્લોટ તૂટી ગયેલ, ક્યાંક ધાર માં કચરો ભરાઈ ગયેલ. એ સહેજ પણ ખોલી શકાઈ હોત તો બોપલમાં અમારાં ઘરોમાં જે મોટું નુકસાન થયું એ ઓછું થઈ શક્યું હોત. ઉનાળા ના અંતે, જૂન ના અંતિમ સપ્તાહમાં એક વાર જે તે સોસાયટીએ અને રસ્તે મ્યુનિ. એ આ ડ્રેનેજ નાં ઢાંકણાં ખોલવાં જોઈએ. બીજું, ડ્રેનેજ લાઇનમાં કચરો ન જ જવો જોઈએ. અહીં તો ડ્રેનેજ ખરી, ગટર માં પણ ઝાડની કાપેલ ડાળીઓ, ખોરાકનો જથ્થાબંધ એંઠવાડ, નારિયેળના છોતાં, પ્લાસ્ટિક અને થર્મોકોલ એ બધું કચરા ગાડી મિસ થાય તો ત્યાં ઠલવાય છે. એટલે સોય નો ઘા શૂળી થી સહન કરવો પડે છે. ઘર દીઠ પચાસેક હજારનું કુલ નુકસાન ગણી લો. એમાં હું પણ આવી ગયો.
વીસ ઇંચ વરસાદ અસામાન્ય બાબત છે જે દર ચોમાસે ન બને પણ ભારે વરસાદ તો આવે જ છે અને જો ધ્યાન રાખીએ તો પાણી ઘણું ઓછું ભરાય ને જલ્દી નિકાલ થઈ જાય.